1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 માર્ચ 2023 (14:47 IST)

સુરતના બિલ્ડરનો અમદાવાદમાં આપઘાતનો પ્રયાસ મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો

surat
સુરતના મોટાવરાછાના મોટા ગજાના એક બિલ્ડરે ઝેર પી અમદાવાદ ખાતે આપઘાતનો પ્રયાસ કરતાં બિલ્ડરલોબીમાં ચકચાર મચી છે. આ બિલ્ડરે નાણાકીય ભીંસમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ છે. ત્યારે આ બિલ્ડરની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડરે આપઘાત કરવા જતાં પહેલાં મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો હતો અને એ તેના નજીકના સંબંધીને મોકલાયો હતો.

હાલ આ અંગે અમદાવાદની હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.નોટબંધી અને જીએસટી બાદ ફટકા ખાતો બાંધકામ ઉદ્યોગ હજુ પાટે ચઢ્યો નથી. એને કારણે મોટાવરાછાના અનેક બિલ્ડરો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મોટાવરાછા વિસ્તારના મોટા ગજાના બિલ્ડર અશ્વિન છોડવડિયાએ અમદાવાદમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બિલ્ડર હાલમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવારમાં છે. જોકે તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આપઘાતનો પ્રયાસ કરતાં પહેલાં આ બિલ્ડરે એક વીડિયો પણ બનાવ્યો હતો, એ તેના નજીકના સંબંધીઓને મોકલ્યો હતો.ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનારા આ બિલ્ડરે આપઘાત પહેલાં એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેઓ તેમના એક સંબંધીને કહે છે, મારી પર જે વીત્યું છે એની સુસાઈડ નોટ મેં બનાવી છે. આ ઉપરાંત કોલ રેકોર્ડ્સ પણ કરાયા છે. એની વિગત ઓફિસના એક કોમ્પ્યુટરમાં મૂકવામાં આવી છે. એ તું મેળવી લેજે.બિલ્ડરે વીડિયોમાં જણાવ્યું છે કે દોઢેક વર્ષથી તેને મુશ્કેલી હતી અને આ કારણે પોતે આપઘાત કરવા માટે પ્રયત્ન કરતો હતો, પણ તેની પત્નીને આ બાબતનો અંદાજો આવી ગયો હતો. એને લઇ તે તેમને એકલા મૂકતી નહોતી. આખરે જેમ તેમ કરીને પોતે આપઘાત માટે પગલું ભરતા હોવાનું વીડિયોમાં જણાવ્યું હતું.વીડિયોમાં બિલ્ડર એવું જણાવે છે કે દોઢેક વર્ષથી તેની જિંદગી ખરાબ થઈ છે. જોકે તેઓ કોનાથી પરેશાન છે એનો વીડિયોમાં કોઈ ફોડ પડાયો નથી, પણ સૂત્રોનું કહેવું છે કે એની સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓને કારણે તેમની આર્થિક હાલત બગડી હતી. છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણમાં છે. એનાથી તેમને માનસિક ત્રાસ થતો હતો અને આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.