બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 જુલાઈ 2021 (09:20 IST)

મુદ્દતમાં વધારો: વેપારીના વેક્સિનેશનની મુદત 10મી સુધી લંબાવાઈ

રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેક્શીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે. તેની સમય મર્યાદા હવે 10 જુલાઈ 2021 સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
 41 ટકા લોકોને વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેકસીનેશનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે 30 જૂન 2021 સુધીમાં રાજ્યમાં 41 ટકા લોકોને વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી 40.77 ટકા એટલે કે 2 કરોડ 61 હજાર 255 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.
 
 
પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા 2 કરોડને પાર
ગુજરાતમાં પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા 30 જૂન 2021 સાંજ સુધીમાં 2 કરોડને પાર કરી ગઇ છે. એટલું જ નહિ, 56 લાખ 16 હજાર 736 લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેકસીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી.
 
સમગ્રતયા રાજ્યમાં 30 જૂનના દિવસે 2 લાખ 84 હજાર 125 લોકોને કોરોના રસીથી સાંકળી લેવામાં આવ્યા છે. આમ, મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ લોકોને કોરોના વેકસીનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે 30 જૂન સુધીમાં 2 કરોડ 56 લાખ 77 હજાર 991 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.
 
ગુજરાતમાં 30 જૂન સુધીમાં જે 2 કરોડ 61 હજાર 255 લોકોને પ્રથમ ડોઝ અપાયો છે તેમાં 19,63,058 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર, 45 થી વધુ વયના 1,08,29,452 તેમજ 18 થી 44 વયજૂથના 72,68,475 લોકોનો સમાવેશ થાય છે.
 
કોરોના કેસ ઘટ્યા
ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 304 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,10,451 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.41 ટકાએ પહોંચ્યો હતો. 
 
 
એક્ટિવ કેસ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 3013 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 9 લોકો વેન્ટિલેટર પર છે. 3004 લોકો સ્ટેબલ છે. 8,10,451 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં કુલ 03 લોકોનાં મોત નિપજ્યાં છે. 10,059 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે. 
 
 
3ના મોત
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 3 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,84,125 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.