શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (08:27 IST)

સુરતમાં ગ્રીષ્માની હત્યાને નજરે જોનારા 25 સાક્ષીઓએ કહ્યું, ‘ફેનિલ પાસે ચપ્પુ હતું એટલે અમે બચાવવા ના ગયાં

પાસોદારમાં જાહેરમાં હત્યાના કેસમાં સંડોવાયેલાં આરોપી ફેનિલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મૂળ અને કુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી. જેમાં 25 નજરે જોનારા સાક્ષી છે. જેઓએ સ્ટેટમેન્ટ લખાવ્યું હતું કે, જ્યારે ઘટના બની ત્યારે તેઓ આરોપીના હાથમાં ચપ્પુ હોવાથી તેની પાસે નહીં ગયા હતા. કેટલાંકને એવી બીક હતી કે પાસે ગયા તો યુવતીને ચપ્પુ મારી દેશે.દરમિયાન પોલીસે પહેલીવાર તમામ 170 સાક્ષીઓના ઘરે જઇને તેમના સ્ટેટમેન્ટ લીધા હતા. આ અઠવાડિયાથી જ કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ શકે છે અને ચુકાદો પણ ઝડપથી આવે એવી ચર્ચા છે. નોંધનીય છે કે, મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સમગ્ર કેસ-કાયદાકીય પ્રોસેસ પર નજર રાખી રહ્યા છે. મરનાર યુવતીના પરિજનો પણ ઇચ્છે કે તેઓ આ કેસ લડે.પહેલીવાર થયું છે કે હત્યાના કેસમાં આરોપીની ધરપકડના 6 દિવસ બાદ જ કોર્ટમાં ચાર્જશીટ કરાઈ છે. ઉપરાંત ચાર્જશીટની સમગ્ર પ્રોસેસ જલદી થાય એ માટે પોલીસ તમામ 190 સાહેદોના ઘરે ગઇ હતી. સામાન્ય રીતે સાહેદોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે. જોકે આ કેસમાં એનાથી ઊલટું થયુ છે.સોશિયલ મીડિયામાં સરાજાહેર હત્યાનો વીડિયો વાયરલ થયો ત્યારે એક સવાલ એ પણ ચર્ચાયો હતો કે શા માટે કોઇ બચાવવા નહીં ગયું. પોલીસે સમગ્ર કેસમાં નજરે જોનારા 25 જેટલાં સાક્ષીઓના નિવેદન પણ લીધા હતા. ગ્રીષ્મા હત્યા કેસમાં પોલીસે પાસના કાર્યકર્તા કરૂણેશ રાણપરિયાની પૂછપરછ કરી છે. તે ગ્રીષ્માના ઘરેથી થોડા અંતરે રહે છે. કરૂણેશનો સંબંધી ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલનો મિત્ર છે. એક ગ્રુપ ફોટોમાં કરૂણેશ સાથે ફેનિલ પણ દેખાતો હતો. તેથી ફેનિલ કરૂણેશ સાથે સંકળાયેલો હોવાનો મેસેજ સમાજમાં વહેતો થયો હતો.