બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 જુલાઈ 2020 (10:01 IST)

કામરેજના ધારાસભ્ય સહિત બે ધારાસભ્યોને કોરોના, ભરતસિંહ સોલંકીને વેંટિલેટર પર રખાયા

ગુજરાતમાં મંગળવારે વધુ બે ધારસભ્યોને કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તેમાં સત્તારૂઢ ભાજપના કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા તથા બનાસકાંઠા જિલ્લાના વાવની મહિલા કોંગ્રેસ ધારાસભ્ય ગનીબેન ઠાકોરને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગેનીબેન ગાંધીનગર સદસ્ય નિવાસમાં હોમ ક્વોરેન્ટાઈન થયા છે. શરૂઆતમાં તેઓ ઘરેથી જ કોરોનાની સારવાર લઈ રહ્યાં હતા, પરંતુ હવે ગેનીબહેનને એમએલએ ક્વાર્ટરમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના પોઝિટિવ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં વેંટિલેટર પર રાખવામાં આવ્યા છે. જોકે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત આજે પણ નાજુક છે. ભરતસિંહને પ્લાઝ્મા થેરાપીના બે ડોઝ અપાયા છે. જોકે, તબીબોએ જણાવ્યું હતું કે પ્લાઝ્મા થેરપી બાદ પણ તબિયતમાં કોઈ સુધારો નથી. ભરતસિંહ સોલંકી માટે આગામી 24 કલાક મહત્વના બની રહેશે. ભરતસિંહ સોલંકી અસ્થમાના પણ દર્દી છે, તેથી તેઓનું ઓક્સિજન લેવલ વારંવાર વધારવું પડી રહ્યું છે. ગત મહિના અંતમાં તેમને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. 
 
આ પહેલાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કોરોના સંક્રમિત થયા હતા. ભાજપ અને કોંગ્રેસના કેટલાક અન્ય ધારાસભ્ય પણ કોરોના સંક્રમણ બાદ સ્વસ્થ્ય થયા છે. ગુજરતમાં અત્યાર સુધી 37,636 કેસ સામે આવ્યા છે તેમાંથી 1979 ના મોત થયા છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા બદરૂદ્દીન શેખ પણ મૃતકોમાં સામેલ છે.