ગુજરાતમાં ભરઉનાળે 114 તાલુકામાં કમોસમી વરસાદ, 6 નાં મોત, કેરી અને ડાંગર સહિતના પાકને નુકશાન થવાનાં ભયથી ખેડૂતો ચિંતિત
ગુજરાતમાં ભરઉનાળે 53 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યમાં પડેલા વરસાદમાં સાંજ 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના શિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગર સિટીમાં પણ એક ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યના 23 તાલુકામાં અડધા ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ 5 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કાળઝાળ ગરમીના દિવસોમાં મીની વાવાઝોડા જેવો માહોલ જામ્યો છે. શહેરમાં તોફાની પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી છે. ચાંદખેડા , એસજી હાઈવે, પકવાન સહિતના વિસ્તારોમાં પણ ઘૂળની ડમરીઓ ઉડી છે. અમદાવાદ શહેરના બોપલ, ઘૂમા, થલતેજ વિસ્તારમાં વિસ્તારોમાં ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.વાતાવરમમાં અચાનક પલટો આવી વરસાદ જેવો માહોલ સર્જાતા સાંજે બહાર જવાનું આયોજન કરનારા લોકોએ મોટેભાગે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યુ હતું જો કે વાતાવરણમાં પલટાથી અમદાવાદીઓને આકરી ગરમીમાં રાહત મળી છે.
રાજ્યમાં હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની સાથે રાજ્યમાં ગાજવીજ સાથે કરા વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક શહેરોમાં તારાજી સર્જાઈ હતી. આજે પણ કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સ્થિતિ બગડી શકે છે. સોમવારે ભારે પવન અને વરસાદના કારણે રાજ્યમાં કુલ છ લોકોના મોત નિપજ્યા હતા.
જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં હાલ આંબા પર કેરીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે. એવા સમયે જ ભારે પવન અને કરા વરસતા કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરી ઉપરાંત ડાંગર સહિતના પાકને પણ નુકસાન જવાની ભીતિ હોય ખેડૂતો ચિંતિત બન્યા છે.