ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 ઑગસ્ટ 2021 (15:50 IST)

CM વિજય રૂપાણીની વજુભાઈ સાથે મુલાકાત, 2022ની ચૂંટણી માટે મહત્વની ભૂમિકા ભજવશે

વજુભાઇ વાળાની ગુજરાતના સક્રિય રાજકારણમાં એન્ટ્રી નિશ્વિત માનવામાં આવી રહી છે.જો કે વજુભાઇ ક્યાં હોદ્દા પર આવશે તેના પર સૌની નજર મંડાયેલી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વજુભાઇ વાળાની મુલાકાત પર નિવેદન આપતા કહ્યું હતુ કે વજુભાઇ વાળાના રાજકોટ આગમનને કારણે હજારો કાર્યકર્તાઓને એક વડિલ તરીકેની હુંફ મળશે. વજુભાઈ વાળા સાથેની મુલાકાત બાદ મુખ્યમંત્રીએ ઘણી સૂચક અને મહત્વની વાતો કરી.
 
તેમણે કહ્યું કે અમારા બધા માટે આનંદની વાત છે કે હવે વડીલ વજુભાઈ અમારી સાથે છે. પાર્ટીના કાર્યકર્તાઓને બહુ મોટી હૂફ, માર્ગદર્શન અને એમની મદદ મળતી રહેશે. રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, એ સતત આગળ વધતો રહે અને એમના માર્ગદર્શનથી અમને લાભ થશે.
 
વજુભાઈના રાજકારણમાં ફરી સક્રિય થવા અંગે તેમણે કહ્યું કે વજુભાઈનો સ્વભાવ છે કે એક આદર્શ કાર્યકર્તા તરીકે જીવનપર્યંત પાર્ટી અને ભારતમાતાની જય એ જ જીવનમંત્ર બનાવીને, RSS ના સ્વયંસેવકથી શરૂ કરીને, જનસંઘથી માંડીને ભારતીય જનતા પાર્ટીમાં એમણે જીવનભર કામ કર્યું છે, એટલે વજુભાઈ કદી નિવૃત્ત હોય જ ન શકે. વજુભાઈ અલગ અલગ સ્વરૂપે કામમાં છે. અને હવે તેઓ પાર્ટી અને પાર્ટીના કાર્યકર્તાઓની ચિંતા કરશે.
 
બંને મહાનુભાવોની મુલાકાત બાદ વજુભાઈએ કહ્યું, સંઘમાં વડીલોના આશીર્વાદ લેવાની પ્રથા છે, આથી વડીલ તરીકે વિજયભાઈ આશીર્વાદ લેવા આવ્યાં હતા અને મેં આશીર્વાદ આપ્યા છે કે તેઓ રાષ્ટ્રનું કામ અને સમાજ સેવા કરતા રહે. તેમણે કહ્યું,”હું પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો હતો, કામ કરું છું અને આગળ પણ કરતો રહીશ.”