રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 મે 2019 (14:35 IST)

ગુજરાતમાં આકરા જળસંકટ વચ્ચે રાજકોટમાં લાખો લીટર પાણી નદીમાં વહી ગયું

હાલમાં ઉનાળામાં આખું ગુજરાત જળકટોકટીની વેદનાને સહન કરી રહ્યું છે. ખેડૂતોને ખેતી માટે તો લોકોને પીવા માટે પાણીના ફાંફાં મારવા પડ્યાં છે. એક તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીના પોકારોને લીધે માલધારીઓને તેમના પશુઓ માટે પાણીની હાંલાકી સહન કરવી પડી છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાએ માઝા મુકી છે. સરકાર પાણી પુરુ પાડવા માટે મોટી ગુલબાંગો મારી રહી છે અને ટેન્કર રાજમાં જાહેરમાં પાણીની લૂંટ થતી દેખાય છે ત્યારે આવા જળસંકટ વચ્ચે લાખો લીટર પાણીનો વેડફાટ પણ ચર્ચાએ ચડ્યો છે. 
પ્રાપ્ત વિગતો પ્રામણે રાજકોટ નજીક ગવરીદડ ગામે નર્મદાની કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણી નદીમાં વહી ગયું હતું. એક તરફ પાણીની તંગી પ્રવર્તી રહી છે ત્યારે લાખો લીટર પાણીનો આ રીતે બગાડ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેનાલમાં ભંગાણ થતા તાત્કાલિક અસરથી પમ્પિગ બંધ કરી દેવામાં આવ્યું છે. કેનાલમાં થયેલા ભંગાણને રિપેર કરતા 24 કલાક જેટલો સમય લાગશે તેવું જાણવા મળ્યું છે. લાખો લીટર પાણીના વેડફાટથી અનેક વિસ્તારોમાં પાણી વિતરણ પર અસર પહોંચી છે. કેનાલમાં ગાબડુ પડતા લાખો લીટર પાણી વહીં જતા પાણી પુરવઠા વિભાગ દ્વારા 24 કલાકમાં રિપેરિંગ થઇ જશે તેવો દાવો કર્યો છે. પરંતુ આ દાવા વચ્ચે હજુ અધિકારીઓ ઘટનાસ્થળે પણ પહોંચ્યા નથી. અધિકારીઓ આવે ત્યારબાદ રિપેરિંગની કામગીરી હાથ ધરાઇ તેવું જાણવા મળ્યું છે.