શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 જૂન 2023 (09:31 IST)

વાવાઝોડું બિપરજોય કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે, ગુજરાતમાં તેની અસર ક્યારે શરૂ થશે?

cyclone
અરબી સમુદ્રની અંદર બનેલું વાવાઝોડું બિપરજોય હવે વધારે મજબૂત બનીને અતિ ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. હાલ તે અરબી સમુદ્રમાં જ આગળ વધી રહ્યું છે. જોકે, હજી પણ વાવાઝોડું કયા દરિયાકિનારે ત્રાટકશે તેના વિશે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ભારતના હવામાન વિભાગે પણ એ માહિતી આપી નથી કે વાવાઝોડું આખરે ક્યાં જઈને ટકરાશે.
 
ગુજરાતમાં તેની અસર 9 જૂનની આસપાસથી વર્તાવાની શરૂ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે અને રાજ્યના અનેક વિસ્તારોને વાવાઝોડાના ખતરાને જોતા સાવચેત કરી દેવામાં આવ્યા છે. આ વર્ષનું આ પ્રથમ વાવાઝોડું છે જે અરબી સમુદ્રમાં બન્યું છે. આ પહેલાં બંગાળની ખાડીમાં મોખા નામનું વાવાઝોડું બન્યું હતું અને તે પણ અતી ભીષણ ચક્રવાતમાં ફેરવાયું હતું.
 
ગુજરાત સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક, કોકણ અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
 
વાવાઝોડું બિપરજોય કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે?
 
6 જૂનના રોજ દરિયામાં બનેલું આ વાવાઝોડું ખૂબ ઝડપથી તાકતવર બની રહ્યું છે. ધારણા કરતાં વધારે ઝડપથી તે ખતરનાક બની રહ્યું છે.
 
સાત તારીખ સુધીમાં તે ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ ગયું હતું જ્યારે એવી અપેક્ષા હતી કે એકાદ દિવસ બાદ તે વધારે મજબૂત બનશે પરંતુ સાત તારીખના રોજ જે તે અતી ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ ગયું હતું.
 
8 તારીખની સવારની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડું પોરબંદરથી 965 કિમી અને મુંબઈથી 930 કિમી તથા પાકિસ્તાનના કરાચીથી 1250 કિમી દૂર દરિયામાં છે. હાલ તે દરિયામાં જ આગળ વધી રહ્યું છે.
 
હવામાન વિભાગના કહેવા પ્રમાણે 8 જૂનના સવારની સ્થિતિ મુજબ વાવાઝોડું દરિયામાં 6 કલાક પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જોકે, આગળ વધવાની તેની ગતિમાં સતત ફેરફાર થયા કરે છે. કેટલીક વખતે તે 3 કલાકથી લઈને 9 કલાકની પ્રતિ કલાકની ઝડપે પણ આગળ વધે છે.
 
હાલ આ વાવાઝોડું દરિયામાં આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજી તે ઉત્તર તરફ આગળ વધે તેવી સંભાવના છે. એટલે કે તે ક્યાં ટકરાશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.
 
હાલ આ વાવાઝોડામાં પવનની ગતિ 150થી 155 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે અને 9 જૂન સુધીમાં પવનની ગતિ 170 પ્રતિ કલાક સુધી પહોંચે તેવી શક્યતા છે.
 
અરબી સમુદ્રનું તાપમાન હાલ 30થી 32 ડિગ્રી સેલ્સિયસ છે. જે આ વાવાઝોડાને તાકતવર બનાવી રહ્યું છે અને 12 જૂન સુધી વાવાઝોડું નબળું પડે તેવી કોઈ શક્યતા નથી.
 
ગુજરાતમાં વાવાઝોડાની અસર ક્યારથી શરૂ થશે?
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં 9 જૂનની આસપાસથી બિપરજોય વાવાઝોડાની અસર શરૂ થાય તેવી શક્યતા છે. સામાન્ય રીતે સૌથી પહેલાં તેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર થાય તેવી સંભાવના છે.
 
9 અને 10 જૂનની આસપાસ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફુંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે લગભગ 40થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય તેવી શક્યતા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધીને 65 કિમી પ્રતી કલાક સુધી પહોંચી શકે છે.
 
જેના કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના આપી દીધી છે અને વાવાઝોડાના ખતરાને જોતાં ગુજરાતનાં બંદરો પર 2 નંબરનું સિગ્ન લગાવવામાં આવ્યું છે.
 
આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસરને કારણે વરસાદ પડવાની પણ સંભાવના છે.
 
અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવના છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, સુરત, ભરુચ, નર્મદા જિલ્લામાં પણ ગાજવીજ સાથે છુટોછવાયો વરસાદ શરૂ થાય તેવી સંભાવના હાલની સ્થિતિએ જોવા મળી રહી છે.
 
આ ઉપરાંત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભવાના છે એટલે કે દરિયાકાંઠા સિવાયના વિસ્તારોમાં પણ ઝડપી પવન ફુંકાઈ શકે છે.
 
ગુજરાતને વાવાઝોડાથી સીધો ખતરો છે?
વાવાઝોડું ક્યાં જઈને ટકરાશે તે અંગે હજી કોઈ માહિતી હવામાન વિભાગે આપી નથી. આ ઉપરાંત વાવાઝોડાં અને હવામાન પર નજર રાખતાં વિશ્વના અન્ય દેશોનાં મૉડલમાં પણ સામ્યતા નથી.
 
કેટલાંક મૉડલ એવું દર્શાવી રહ્યાં છે કે વાવાઝોડું ઓમાન પર ત્રાટકશે, જ્યારે કેટલાંક મૉડલ તે સીધું જ ઉત્તર તરફ જશે તેવું દર્શાવી રહ્યાં છે. તો એકાદ મૉડલ વાવાઝોડું ગુજરાતની પાસેથી પસાર થશે એવું દર્શાવી રહ્યું છે.
 
જોકે, સીધું ગુજરાત પર આવશે અને ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું ત્રાટકશે એવી કોઈ માહિતી હવામાન વિભાગે આપી નથી. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર વાવાઝોડોનો ખતરો ઓછો લાગી રહ્યો છે.
 
જોકે, 11 જૂનની આસપાસ એકદમ સ્થિતિ સ્પષ્ટ થાય તેવી શક્યતા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના રિપોર્ટ પ્રમાણે ચોમાસા પહેલાં સર્જાતાં વાવાઝોડાં પોતાનો રસ્તો બદલી શકે છે. ઉપરાંત આ વાવાઝોડાનો સચોટ રસ્તો અગાઉથી નક્કી કરવો ખૂબ મુશ્કેલ હોય છે.
 
હવામાન વિભાગનું કહેવું છે કે હાલ 12 કલાક સુધી વાવાઝોડું સીધું જ ઉત્તર દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.