ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. 26/11 પ્રથમ વરસી વિશેષ
Written By જનકસિંહ ઝાલા|

26/11 અને આપણી ભૂલવાની કળા

સરકાર પણ 26/11 પરથી બોધપાઠ લે...

માયાવીનગરી મુંબઈમાં 26/11 ની વિનાશલીલા બાદ આ પ્રકારની આતંકી ઘટનાઓ સામે કેવી રીતે લડવામાં આવે તેવા અનેક પ્રશ્નોનો સામનો આજે આપણો દેશ કરી રહ્યો છે.
W.D
W.D
શું આપણે આ દિવસને માત્ર એક શોકરૂપી દિવસ મનાવીને ભૂલી જઈશું ? કે પછી અમેરિકાએ 9/11 બાદ જે કર્યું તે પ્રમાણે ભૂતકાળની ભૂલો પરથી બોધપાઠ લઈને આતંકવાદ સામે લડવા તેમજ શાંતિ અને સોહાર્દ જાળવવા જરૂરી પગલા હાથ ધરીશું.


આજે જોવામાં આવે તો આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવાનું કામ ઘણું જ કઠિન છે કારણ કે, આજે દરેક વ્યક્તિઓ વચ્ચે મતમંતાતર પ્રવર્તી રહ્યો છે. જે લોકોએ આતંકી હુમલામાં પોતાના સ્વજનોને ગુમાવ્યાં છે અને જે લોકો આ સમગ્ર નરસંહારના મુખ્ય સાક્ષી છે તેઓના મસ્તિકમાં 26/11 ની ઘટના જીવનભર સુધી નહી તો પણ લાંબા સમય સુધી તો અંકિત બનીને રહેશે જ. જ્યારે બીજી તરફ જે લોકો ટીવી ચેનલો, સમાચાર પત્રો અને અન્ય માધ્યમો થકી પોતાની જાતને મુંબઈ હુમલાઓ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે તેઓ વહેલા મોડા આ ઘટનાને ભૂલી જશે

આમ પણ નકારાત્મક ઘટનાઓ પર ભારતનો પરિપેક્ષ્ય દુનિયાના અન્ય દેશોની તુલનામાં થોડો અલગ-થલગ છે. પશ્વિમના દેશોમાં નકારાત્મક વર્ષગાંઠને મનાવવા માટે અલગ પ્રકારનો રિવાજ છે. ઝેવીસ(યહૂદી) ફિલોસોફી મુજબ ત્યાં ' lest we forget’( રખેને અમે ભૂલી જઈએ)ની નીતિ અપનાવવામાં આવે છે. આ પ્રકારે વિધ્વંશ ત્યાં યહૂદી ઓળખનો એક ભાગ છે. ત્યાં પણ 9/11 જેવી કેટલીયે નકારાત્મક ઘટનાઓ છે જેને પશ્વિમી કેલેન્ડરમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તેનાથી વિપરીત ભારતની ફિલોસોફીમાં ‘lest we remember’(રખેને અમે યાદ રાખીએ) ની નીતિને જોર આપવામાં આવે છે. આજ કારણ છે કે, જ્યારે દેશમાં સર્જાયેલી હિંસા અને નકારાત્મક ઘટનાઓની વાત આવે છે ત્યારે ભારતીયોની સામાજિક યાદશક્તિ થોડી મંદ પડી જાય છે.

આપણે હમેશા એ માનવા માટે તૈયાર રહીએ છીએ કે, આપણો ભૂતકાળ અહિંસક અને શાંતિપૂર્ણ રહ્યો હતો જ્યારે હકિકતમાં સ્થિતિ કંઈક અલગ પ્રકારની હતી. જો એવું ન હતો તો આજે દેશનો દરેક યુવક એ વાત જરૂર જાણતો હોત કે, આપણે 200 વર્ષ સુધી કેવી રીતે અંગ્રેજોની ગુલામી વેઠી. ભારતને સ્વતંત્રતા અપાવવા પાછળ કોનો કોનો ફાળો રહ્યો હોત તેનો જવાબ જાણવા માટે આજે વિદ્યાર્થીઓને પણ પરીક્ષા સમયે આમતેમ ડોકિયું કરવું ન પડત. આપણે માત્ર રાજા મહારાજાઓ અને તેમના દ્વારા આંચરવામાં આવનારી હિંસાને લગતી ભૂતકાળની વાતોને જાણીએ છીએ જ્યારે પશ્વિમના દેશોના લોકો પોતાના દેશના ભૂતકાળને જાણવા માટે કલાકોના કલાકો સુધી પુસ્તકાલયોમાં બેસીને ન જાણે કેટલીયે પુસ્તકો વાંચી નાખે છે.

'ક્ષમા વિરસ્ય આભૂષણમ' અર્થાત માફી આપવી એ વીરોનું પરમ આભૂષણ છે
W.D
W.D
એ પક્તિ અહીં પણ ત્યારે જ સિદ્ધ થાય છે જ્યારે ગુનો કરનાર વ્યક્તિએ કોઈ મજબૂરી અથવા લાચારીના કારણે હિંસાનું પગલું હાથ ધર્યું હોય અને એ કૃત્ય કર્યા બાદ તેને તે એ કૃત્ય બદલ પ્રસ્તાવો થતો હોય,તેની આ હિંસામાં કોઈ માનવી બલિ ન ચડ્યો હોય,


દેશમાં લોહીની હોળી રમનારા ગુનેગારોને માફ કરી દેવાની આપણી આદત બની ગઈ છે. આપણે આવા ગુનેગારોને સરળતાથી માફ કરી દઈએ છીએ અથવા તો તેને ભૂલી જઈએ છીએ. અજમલ કસાબ અને અફજલ ગુરૂને પણ કદાચ વહેલા મોડા આપણે ભૂલી જ જઈશું. યુરોપના દેશોમાં આ પ્રણાલી નથી. અમેરિકા હજુ સુધી લાદેનને ભૂલ્યું નથી અને તેને ભૂલી પણ નહીં શકે.

બ્રિટીશરોની હમેશા એક વાતની ફરિયાદ રહી છે કે, ભારતીયોને પોતાના ઈતિહાસની કોઈ પણ પ્રકારની ઓળખ નથી એક રીતે જોઈએ તો તેમની વાત સાચી પણ છે આપણે ભારતીયોએ ઈતિહાસ સાથે જોડાયેલી એક પણ ઘટના અને વાતનું વ્યવસ્થિત દસ્તાવેજીકરણ કરીને રાખ્યું નથી. દેશમાં કેટલાયે સ્વંતત્રસેનાનીઓ અને શહીદો થઈ ગયાં પરંતુ આપણે તો માત્ર આંગળીના વેઠે ગણી શકીએ બસ એટલા જ લોકોના નામ જાણીએ છીએ. આનો અર્થ એ નથી કે, આપણે 'ઢ' છીએ પરંતુ આપણી ઉદારવાદી નીતિના કારણે એ તમામ વાતો આપણે ભૂલી જઈએ છીએ જે યાદ રાખવી દેશ અને સમાજના હિતમાં હોય છે.

નકારાત્મક ઘટનાઓને ભૂલી જવાના ગુણો આપણા ડીએનએમાં જ હોય તો પછી સરકારને પણ શું દોષ આપીએ ? તેમ છતાં સરકાર અને ખાનગી સુરક્ષા એજન્સીઓની પણ એક પ્રાથમિક ફરજ બને છે કે, 26/11 મુંબઈ હુમલા જેવી ઘટનાઓ પરથી બોધપાઠ લઈને આ ઘટના અને તેના પરિણામોને હમેશા પોતાના મગજમાં તરોત્તાજા બનાવીને રાખે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેના માટે પૂરી રીતે સાવચેત રહે.