શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 25 નવેમ્બર 2019 (20:26 IST)

ગુજરાતમાં મુસ્લિમ હોવાને કારણે એક પરિવાર ઘર ન ખરીદી શક્યો

ગુજરાતની 'સંસ્કારી નગરી' તરીકે વિખ્યાત વડોદરામાં મુસ્લિમ પરિવારને ઘર લેવું અઘરું પડી રહ્યું છે. શહેરના વાસણા વિસ્તારમાં સોસાયટીમાં ઘરના હિંદુ માલિકે મુસ્લિમને ઘર વેચવા તૈયાર થયા, પરંતુ સોસાયટીના અન્ય માલિકોના વિરોધને કારણે તેમણે સોદો રદ કરવો પડ્યો હતો.
 
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સમર્પણ સોસાયટીમાં રહેતી એક વ્યક્તિએ મુસ્લિમને પોતાનું ઘર વેચવાનું નક્કી કર્યું, તો સોસાયટીના અન્ય સભ્યોએ તેનો વિરોધ કર્યો.
 
તેમનું માનવું હતું કે જો સોસાયટીમાં મુસ્લિમને ઘર વેચવામાં આવશે, તો તેનાથી સોસાયટીની અન્ય પ્રૉપર્ટીના ભાવ ઘટી જશે.
 
સમર્પણ સોસાયટીના રહીશોએ 'ડિસ્ટર્બ્ડ એરિયા ઍક્ટ' અંતર્ગત પોતાનો વાંધો ઉઠાવ્યો.
 
જે હેઠળ હિંદુ વસતી ધરાવતા વિસ્તારમાં મુસ્લિમને પ્રૉપર્ટી વેચી શકાતી નથી અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં હિંદુને મિલ્કત ખરીદવા ઉપર નિયંત્રણ લાદે છે.
 
આ ઍક્ટ અંતર્ગત મુસ્લિમને ઘર વેચતા પહેલાં સોસાયટીના વડા પાસેથી 'ના-વાંધા સર્ટિફિકેટ' લેવું જરૂરી છે.
 
આ સોસાયટીમાં હાલ 170 ઘર છે, જેમાંથી બે ઘર વર્ષ 2017માં મુસ્લિમોને વેચવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક ઘર 99 વર્ષના પટ્ટે મુસ્લિમ પરિવારને ભાડે આપવામાં આવ્યું છે.
 
સમર્પણ સોસાયટીને વર્ષ 2014માં 'ડિસ્ટર્બ્ડ એરિયા' તરીકે જાહેર કરવામાં આવી હતી.
 
સોસાયટીના સેક્રેટરી બિક્રમજિત સિંહને ટાંકતા અખબાર લખે છે: "અમારો વાંધો કોઈ વ્યક્તિ કે કોમ સામે નથી."
 
"અમે જોયું છે કે જેમ-જેમ સોસાયટીમાં લઘુમતી સમુદાયના લોકોની સંખ્યા વધે છે, તેમ-તેમ હિંદુ સમુદાય વિસ્તાર છોડી જાય છે."
 
"આ સિવાય 'અશાંત વિસ્તાર ધારા'ના ભંગથી મિલ્કતના ભાવ ઘટી જાય છે."