શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 4 મે 2019 (14:57 IST)

Fani Cyclone : 45000 વૉલેન્ટિર્સે 24 કલાકમાં ચક્રવાત સામે જબરદસ્ત લડત આપી

બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડુ ફોની ઓડિશાના પુરીના દરિયાકિનારે ત્રાટકીને પશ્ચિમ બંગાળ પહોંચ્યું છે. દીગા શહેરમાં મોટાપાયે વૃક્ષો પડી જવાની ઘટના બની છે. અનેક સ્થળોએ મકાનોને નુકસાન થયું છે અને વરસાદીને લીધે જનજીવન ખોરવાઈ ગયું હતું જોકે પશ્ચિમ બંગાળમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. વાવાઝોડાની શક્તિ ક્રમશ: ક્ષીણ થતાં બંગાળમાં રાહત જોવા મળી છે. બધ કરવામાં આવેલું કોલકાતા ઍરપોર્ટ ફરી શરૂકરવામાં આવનાર છે.આની સાથ ઍર ઇન્ડિાએ ભૂવનેશ્વર માટે વધારાની ફ્લાઈટની પણ જાહેરાત કરી છે.
 
ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે બચાવ કામગીરીના વખાણ કરતાં કહ્યું કે ફકત 24 કલાકમાં 12 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. 3.2 લાખ લોકોને ગંજમમાંથઈ, 1.3 લાખ લોકોને પૂરીમાંથી ખસેડવામાં આવ્યા. 7000 રસોડા અને 9000 શૅલ્ટર હોમ્સને રાતોરાત કાર્યરત કરવામાં આવ્યા અને આ મોટા કવાયતને 45,000 વૉલેન્ટિર્સે પાર પાડી. 
 
સંયુક્ત રાષ્ટ્રની આપત્તિ નિવારણ સંસ્થાએ પણ મોટી હોનારતમાં ભારતે કરેલી બચાવની કામગીરીના વખાણ કર્યા છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશા તેમજ બંગાળમાં મુખ્ય મંત્રી તથા રાજ્યપાલ સાથે વાત કરી પરિસ્થિતિનું આકલન કર્યુ છે તેમજ સહાયની ખાતરી આપી છે.  એર ઇન્ડિયાએ ઓડિશામાં રાહત સામગ્રી મફતમાં મોકલવાની જાહેરાત છે.
 
અગાઉ ગઈકાલે જ્યારે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પુરીમાં પવનની ઝડપ 165થી 175 કિલોમિટર પ્રતિ કલાક હતી. વાવાઝોડું અહીંથી પૂર્વોત્તર તરફ આગળ વધ્યું છે. વાવઝોડું 90 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે બાંગ્લાદેશ તરફ જશે તેવી શક્યતા છે. સમાચાર સંસ્થા પીટીઆઈના કહેવા મુજબ અત્યાર સુધી 8 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. વિશેષ રાહત દળના કમિશનર બિશ્નુપદ સેઠીએ આ અંગેની જાણકારી આપી છે. અત્યાર સુધી દસ લાખ લોકોને દરિયાકિનારાના વિસ્તારોમાંથી સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે.
ઓડિશામાં NDRFની 28 અને ODRAFની 20 ટીમો બચાવ માટે તહેનાત કરવામાં આવી છે અને 900 જેટલા રાહત કૅમ્પો શરૂ કરવામાં આવ્યા છે. વાવાઝોડાને પગલે રાજ્યના 15 જિલ્લાઓમાં અસર થઈ છે., પશ્ચિમ બંગાળમાં પણ અસર થવાની શક્યતા છે. ટ્રેન અને ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.  આ વાવાઝોડાથી ઓડિશાનાં 10,000 ગામો અને 52 શહેરો પ્રભાવિત થયાં છે.  
 
આ દરમિયાન પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ચૂંટણી રેલીઓ રદ કરી છે. તેઓ પરિસ્થિતિના આકલન માટે ખડગપુર રહેશે. હવામાન વિભાગ તરફથી આ અંગે દર કલાકે રિપોર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે. કોલકાતા એરપોર્ટ બંધ કરવામાં આવી રહ્યું છે. રેલવે તંત્ર દ્વારા 100 જેટલી ટ્રેન તકેદારીના ભાગરૂપે રદ કરવામાં આવી છે.
ભારતીય નેવીનું પી-81 ડ્રોનિયર ફોની વાવાઝોડાના નુકસાનના બપોર પછી એરિયલ સરવે કરશે.
 
સાચો ઉચ્ચાર શો?
 
વાવાઝોડાના ઉચ્ચારને લઈને અલગઅલગ નામો સામે આવી રહ્યા છે ત્યારે મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સની પ્રેસ રિલીઝમાં વાવાઝોડાનો ઉચ્ચાર 'ફોની' કરવા જણાવાયું છે.
આઈએમડીના મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે આંધ્ર પ્રદેશમાં ચેતવણી હળવી કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશના 3 જિલ્લાઓને ફોની વાવાઝોડાની અસર પહોંચી છે.
આંધ્ર પ્રદેશમાં રાહત અને બચાવ કામગીરી માટે ચૂંટણીપંચે આચારસંહિતા હળવી કરવાની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશના ઇસ્ટ ગોદાવરી, વિશાખાપટ્ટનમ, વિઝિનાગ્રામ શ્રીકાકુલમ જિલ્લાઓને ફોની વાવાઝોડાની અસર પહોંચી છે. મહાપાત્રાએ કહ્યું કે આગામી 3 કલાકમાં વાવાઝોડું નબળું પડવાની શક્યતા છે અને પવનની ગતિ 150-160 કિલોમિટર પ્રતિ કલાક રહેશે. સાંજ સુધી તે અતિગંભીર શ્રેણીમાંથી ગંભીર શ્રેણી સુધી નબળું પડશે એવી શક્યતા વ્યક્ત કરી છે. વાવાઝોડું પશ્ચિમ બંગાળથી આગળ વધી બાંગ્લાદેશ તરફ જશે તેમ હવામાન વિભાગ જણાવે છે.
આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં આવી રહી હોવાની વાત રાજસ્થાનની એક ચૂંટણી રેલીમાં કરી છે.
કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ અંગે ટ્ટીટ કરી લોકોને મદદરૂપ થવા કૉંગ્રેસ કાર્યકરોને વિનંતી કરી છે અને લોકો માટે પ્રાર્થના કરી છે. ઓડિશાના દરિયાકિનારે વાવાઝોડું ફોની ત્રાટક્યું છે. હાલ પવનની ઝડપ 175 કિમી પ્રતિ કલાક છે. સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.પુરીથી આ વાવાઝોડું ઓડિશાના ખુર્દા, કટક, જગતસિંહપુર, કેન્દ્રપાડા, જાજપુર, ભદ્ર્ક અને બાલેશ્વર જિલ્લાઓ પરથી પસાર થઈ પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે અને ત્યાંથી બાંગ્લાદેશ તરફ ફંટાશે એવી શક્યતા છે. જોકે, ત્યાં પહોંચતા સુધી તે નબળું પડશે. ઓડિશાની સાથે-સાથે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ પર પણ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ઉપરાંત તામિલનાડુને પણ ઍલર્ટ કરવામાં આવ્યું છે.
 
લાખો લોકોનું સ્થળાંતર
 
વાવાઝોડાને લઈને આંધ્ર પ્રદેશ અને તામિલનાડુને પણ હાઈઍલર્ટ કરાયાં છે.વાવાઝોડાને કારણે 10,00,000 જેટલાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાવાઝોડું પુરીના દરિયાકાંઠે જમીન સાથે સંપર્કમાં આવ્યું છે તે શહેરમાં આશરે 1,00,000 લોકો રહે છે.પુરીમાં 858 વર્ષ જૂનું જગન્નાથનું મંદિર પણ આવેલું છે. અધિકારીઓને એવો પણ ડર છે કે વાવાઝોડાને કારણે કદાચ મંદિરને નુકસાન થઈ શકે છે.  રાજ્યમાં તમામ શાળાઓ અને કૉલેજો બંધ કરી દેવામાં આવી છે.
 
ભારતીય નેવીના જણાવ્યા પ્રમાણે તેમણે સાત યુદ્ધજહાજો મોકલ્યાં છે અને છ પ્લેન તથા સાત હેલિકૉપ્ટરને રાહતકાર્ય માટે તૈયાર રખાયાં છે. 
 
ઓડિશા કુદરતી આપત્તિની રાજધાની કેમ?
 
વાવાઝોડું ફોની છેલ્લા ત્રણ દાયકામાં ચોથું એવું તીવ્ર તોફાન છે જે દેશના પૂર્વના દરિયાકિનારે ટકરાયું છે. વર્ષ 2013માં ફેલિન નામના વાવાઝોડાએ ઓડિશામાં તારાજી સર્જી હતી અને તે 1999 બાદ આવેલું સૌથી ભયાનક તોફાન હતું. વર્ષ 2017માં ઓખી વાવાઝોડામાં 200 લોકો માર્યાં ગયા હતા અને હજારો લોકો બેઘર બન્યા હતા.
ઑક્ટોબર 2018માં તિતલી નામના વાવાઝોડાના કારણે ઓડિશામાં હજારો લોકોએ સ્થળાંતર કરવુ પડ્યું હતું. ઓડિશાને કુદરતી આપત્તિની રાજધાની કહેવામાં આવે છે. વર્ષો સુધી રાજ્ય કુદરતી આપત્તિઓનો સામનો કરતું આવ્યું છે.
 
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકૉનૉમી ગ્રોથના સુદામીની દાસ પોતાના રિસર્ચ પેપર ઇકૉનૉમિક્સ ઑફ નેચરલ ડિઝાસ્ટરમાં લખે છે, "1900થી 2011 વચ્ચે ઓડિશામાં 59 વખત પૂર આવ્યાં, 24 વખત ભયંકર વાવાઝોડાં આવ્યાં, 42 વખત દુષ્કાળ પડ્યો, 14 વખત રાજ્યએ ભયંકર હિટવેવનો સામનો કર્યો અને 7 વાર ટૉર્નેડોનો સામનો કર્યો."
 
ઉપરોક્ત આંકડાઓને ધ્યાને લેતા રાજ્યે સરેરાશ 1.3 વર્ષે એક કુદરતી આપત્તિનો સામનો કર્યો છે. તેમના આ રિસર્સ પેપરમાં દાસ જણાવે છે કે આ ગાળામાં 1965થી લગભગ દર વર્ષે રાજ્યે એકથી વધારે મોટી દુર્ઘટનાઓનો સામનો કર્યો છે. ડાઉન ટુ અર્થના અહેવાલ પ્રમાણે છેલ્લી સદીમાં ભારતીય ઉપમહાદ્વીપમાં 1,035 જેટલાં વાવાઝોડાં આવ્યાં છે. જેમાં અડધાથી વધારે પૂર્વ તટ તરફ ટકરાયાં છે. જેમાંથી 263 નાનાં-મોટાં વાવાઝોડાં ઓડિશાના દરિયાકિનારે ટકરાયાં છે.
 
ઓડિશામાં વાવાઝોડા પહેલાંની તૈયારી
 
હવામાન વિભાગનું અનુમાન છે કે તોફાનને કારણે ઓડિશામાં આગામી 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. હાલ કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે.
અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે, ઍરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી દેવાઈ છે. ઓડિશાની સરકાર દ્વારા એક પણ જાનહાનિ ન થાય તે લક્ષ્ય સાથે રાજ્યના 480 કિલોમિટર લાંબા દરિયાકિનારા પર કાચા મકાનમાં રહેનારા લાખો લોકોનું સ્થળાંતર કરાયું છે. જોકે, અનેક લોકો પોતાનાં મકાનો છોડીને જવા માટે તૈયાર થયાં નથી. રાત સુધી લોકોને સમજાવીને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
 
વિશેષ રાહત અધિકારી વિષ્ણુપદ સેઠીએ ગુરુવારે જણાવ્યું કે સ્થળાંતર કરાયેલા લોકોને વાવાઝોડા માટે બનાવેલા 900 જેટલા રાહતકૅમ્પોમાં આશરો આપવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, "દરેક કૅમ્પમાં પીવાનું પાણી, ખાદ્યસામગ્રી અને અન્ય જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ત્યાં સ્વયંસેવકો પણ ખડેપગે રહેશે." 
 
વાવાઝોડાને કારણે થનારા નુકસાન અને રસ્તા, વીજળી અને સંચારને ફરીથી શરૂ કરવા માટે રાજ્યમાં નેશનલ ડિઝાસ્ટર ફોર્સ (એનડીઆરએફ)ની 28 ટીમો અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ઍક્શન ફોર્સ(ઓડીઆરએએફ)ની 20 ટીમોને તહેનાત કરવામાં આવી છે.