બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (13:59 IST)

Corona Alert - અન્ય રાજ્યો અને વિદેશમાંથી આવતા મુસાફરોનું સઘન ચેકીંગ

આરોગ્ય વિભાગ એલર્ટ પર, રેપિડ ટેસ્ટ માટેના ડોમ ફરી શરુ કરાયા

દેશના  મહારાષ્ટ્ર, કેરલ, પંજાબ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ  રાજ્યોમાં કોરોના ફરી બેકાબુ બનવા લાગ્યો છે અને ખાસ કરીને કેટલાક દેશોમાં પણ વેરીએન્ટ કેસ વધી રહ્યા છે. સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોરોનાની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાના કારણોને ધ્યાનમાં રાખીને ગુજરાતના આરોગ્ય વિભાગને એલર્ટ પર મૂકી દીધું હોવાનું જાણવા મળ્યું છે.શહેરોમાં કોરોનાના રેપિડ ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવેલા ડોમ ફરીવાર શરુ કરી દેવામાં આવ્યાં છે. 
 
રેપિડ ટેસ્ટ  શરુ 
 
અમદાવાદ સહિતના શહેરોમાં ચૂંટણીનું મતદાન પુરુ થતાં જ રેપિડ ટેસ્ટ માટેના ડોમ ફરીવાર શરુ કરી દેવામાં આવ્યાં છે. તાજેતરમાં જ અમદાવાદમાં કોરોનાના કેસો ઘટતાં શહેરમાં રેપિડ ટેસ્ટ માટે ઉભા કરવામા આવેલા ડોમમાંથી 85 જેટલા ડોમ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. શહેરમાં રોજ 50 જેટલા કેસો નોંધાવાથી આ નિર્ણય લેવામા આવ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું હતું. પરંતુ રાજ્યમાં 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીના મતદાન બાદ કોરોનાના કેસોમાં વધારો થયો હોવાથી રેપિડ ટેસ્ટ માટેના ડોમ ફરીવાર શરુ કરી દેવામાં આવ્યાં છે.  
આરોગ્ય વિભાગને એલર્ટ
 
દેશમાં કોરોના સંક્રમણમાં રાહત મળી રહી છે અને પ્રતિબંધાત્મક આદેશો ઘટાડવામાં આવી રહ્યા છે.તેથી હવે  દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલમાં કોરોના વાયરસનો જે નવો વેરીએન્ટ દેખાયો છે તેના ભારતમાં કેસ નોંધાયા છે અને તે સાથે અગાઉ બ્રિટનનાં વેરીએન્ટનાં કેસ પણ ભારતમાં નોંધાયા હતા. પણ તેને ઘટાડવામાં સફળતા મળી હતી તે વચ્ચે આ નવા વેરીએન્ટની સામે ખાસ કરીને કેરાળા અને મહારાષ્ટ્રમાં ચિંતા વધી છે અને ગુજરાત સરકારે પણ ફરી એક વખત આરોગ્ય વિભાગને એલર્ટ પર મુકી દીધો છે. જોકે ગુજરાતમાં હજુ આ નવા વેરીએન્ટનાં એક પણ કેસ નોંધાયા નથી પણ રાજય સરકાર કોઈ ઢીલાશ આપવા માંગતી નથી.
રાજયમાં દરેક એન્ટ્રી પોઈન્ટ પર પૂર્ણ એલર્ટ આપી દેવામાં આવ્યું
 
રાજયના આરોગ્ય અધિકારી એ  જણાવ્યું હતું હતું કે રાજયમાં દરેક એન્ટ્રી પોઈન્ટ પર પૂર્ણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને વિદેશથી આવતા મુસાફરોનું ફરી પુરૂ સ્ક્રીનીંગ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજય સરકારનાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ હાલ વિદેશી વિમાની સેવાઓ અત્યંત મર્યાદિત છે. પણ દેશનાં અન્ય ભાગોમાંથી આવતા વિદેશીઓ જેઓ બાદમાં ગુજરાતમાં આવે છે તેઓ પણ વેરીએન્ટ લઈને ન આવે તેની ચિંતા કરવામાં આવી રહી છે. અગાઉ બ્રિટનના વેરીએન્ટનાં રાજયમાં નવ કેસ નોંધાયા હતા અને તેઓને એરપોર્ટથી જ અલગ કરીને હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી હતી. અને તેઓનાં રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ રજા અપાઈ નથી.
 
આ સિવાય કોરોના મહામારી સામે નાગરિકોને વિનામુલ્યે સારવાર મળી રહે તે માટે વિવિધ વિસ્તારમાં 110 જેટલી ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ સંપાદિત કરવામાં આવ્યાં હતાં. જેમાં બેડ ખાલી હોય તો પણ મ્યુનિસિપાલિટી દ્વારા નિર્ધારિત કરેલી રકમ ચૂકવવામાં આવતી હતી. હાલમાં કોરોનાના કેસો ઘટી જતાં સંપાદિત કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલો પૈકીની હોસ્પિટલોએ તેમને ડિનોટિફાય કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમજ બિનજરૂરી નાણાં ચૂકવવા ના પડે તે માટે ઉચ્ચ અધિકારીઓની મંજુરી લઈને 55 જેટલી હોસ્પિટલોને ડિનોટીફાઈ કરી દેવામાં આવી છે.
 
ચૂંટણી પછી રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો
 
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી વધી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં આજે કોવિડ 19ના 283 કેસ નોંધાયા છે, તથા 264 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચૂક્યા છે. અત્યાર સુધી 2,61,009 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.72 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં બનાસકાંઠા, ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 08 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતવાર ચર્ચા કરીએ તો કુલ 1690 એક્ટીવ કેસ નોંધાયેલા છે, જ્યારે 29 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1661 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધી રાજ્યમાં 4405 લોકો કોરોના સામેનો જંગ હારી ગયા છે.