બીસીસીઆઈના સચિવ જય શાહ આઈસીસીના ચૅરમૅન તરીકે બિનહરીફ ચૂંટાયા  
                                       
                  
                  				  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચૅરમૅનપદે ચૂંટાઈ આવ્યા છે. તેમની પસંદગી નિર્વિરોધ થઈ.
				  										
							
																							
									  
	 
	આઈસીસી ચૅરમૅન તરીકે જય શાહનો કાર્યકાળ પહેલી ડિસેમ્બર, 2024થી શરૂ થશે.
	 
	આઈસીસીના હાલના ચૅરમૅન ન્યૂઝિલૅન્ડના ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30મી નવેમ્બરના રોજ સમાપ્ત થશે.
				  
	 
	35 વર્ષના જય શાહ આઈસીસીના સૌથી યુવાન ચૅરમૅન હશે.
	 
	જય શાહે એક નિવેદનમાં કહ્યું, “હું આઈસીસીની ટીમ તથા સભ્યદેશો સાથે ક્રિકેટનો દુનિયામાં પ્રસાર કરવા પ્રતિબદ્ધ છું.ठ
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	આ પહેલાં જગમોહન ડાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન તથા શશાંક મનોહર આ પદ પર પોતાની સેવા આપી ચૂક્યા છે.
				  																		
											
									  
	 
	જય શાહ ઑક્ટોબર, 2019માં બીસીસીઆઈના સચિવ બન્યા હતા. 2022માં તેમણે ફરી આ પદ સંભાળ્યું. તેમનો કાર્યકાળ 2025 સુધીનો છે. પરંતુ હવે તેઓ આઈસીસીના ચૅરમૅન બન્યા છે તેથી તેમણે બીસીસીઆઈનું આ પદ છોડવું પડશે.