પાકિસ્તાન ક્રિકેટમા એક નવી બબાલ, મોહમ્મદ રિજવાને PCB ને આપી હવે ધમકી
વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધુ કોઈ ટીમના રમત ઉપરાંત બાકી બધી વાતોને લઈને ચર્ચા જોવા મળે છે તો એ કોઈ અન્ય નહી પણ પાકિસ્તાની ક્રિકેટ ટીમ છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાની ટીમના કોચિંગ સ્ટાફથી લઈને કપ્તાની સુધી મામલામાં ખૂબ ફેરફાર જોવા મળ્યા છે. ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં રમવામાં આવેલી ચેમ્પિયંસ ટ્રોફ્ફી અને ત્યારબાદ ન્યુઝીલેંડના પ્રવાસ પર લિમિટેડ ઓવર્સ શ્રેણી બંનેમાં પાકિસ્તાની ટીમનુ પ્રદર્શન ખૂબ ખરાબ જોવા મળ્યુ હતુ. આ અંગે પાકિસ્તાની વનડે ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાન તરફથી એક વિચિત્ર નિવેદન આવ્યું છે, જેમાં તેણે કેપ્ટનશીપ છોડવાની ધમકી પણ આપી છે.
ટી20 કપ્તાની પદ પરથી હટાવી દેવાથી નારાજ છે રિજવાન
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં, પાકિસ્તાની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી, ત્યારબાદ જ્યારે PCB એ ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે T20 અને ODI ટીમોની જાહેરાત કરી, ત્યારે મોહમ્મદ રિઝવાનને T20 ટીમના કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો અને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો. ટેલિકોમ એશિયા સ્પોર્ટના અહેવાલ મુજબ, રિઝવાન આ નિર્ણયથી ખૂબ જ નાખુશ હતો અને તે ટૂંક સમયમાં આ બધા મુદ્દાઓ અંગે પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવીને પણ મળશે. રિપોર્ટ અનુસાર, જો રિઝવાનને ટીમ પસંદગીના મામલે વધુ અધિકાર આપવામાં નહીં આવે, તો તે કેપ્ટનશીપ છોડવાનો પણ નિર્ણય લઈ શકે છે.
અમને આ અંગે કોઈ માહિતી નહોતી
મોહમ્મદ રિઝવાને પાકિસ્તાન સુપર લીગની આગામી સીઝન અંગે કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાની ટીમના પ્રદર્શન અંગેના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે દરેક વ્યક્તિ જાણે છે કે શું ચાલી રહ્યું છે, દરેક વ્યક્તિ તેના નિયંત્રણમાં શું છે તેના માટે જવાબદાર છે. ટી20 ટીમના કેપ્ટનપદેથી હટાવવાના પ્રશ્ન પર રિઝવાને કહ્યું કે હું આ વિશે કંઈ કહી શકતો નથી, અમને આ વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી અને ન તો અમને પૂછવામાં આવ્યું હતું. આ તેમનો નિર્ણય હતો જેને અમારે પહેલાના નિર્ણયોની જેમ સ્વીકારવો પડ્યો.