મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 2 એપ્રિલ 2022 (12:08 IST)

ભાવનગરમાં ઘરકંકાસને લીધે થતાં ઝઘડાથી પત્નિએ પતિને ખાટલે બાંધીને સળગાવી દેતા પતિનું મોત

તળાજાના સરતાનરપર ગામે ઘરકંકાસને લીધે થતાં ઝઘડાથી પત્નિએ પતિને ખાટલે બાંધીને સળગાવી દેતા પતિનું મોત થયું હતું. આ અંગે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તળાજા તાલુકાના સરતાનપર ગામે રહી ખેત મજુરી કામ કરતા આધેડને તેની પત્નિએ ખાટલે બાંધીને સળગાવી દઈ હત્યા કર્યાંનો બનાવ બન્યો છે.

સરતાનપરમાં રહેતા સવજીભાઈ જીવાભાઈ બારૈયા (ઉ.વ. આશરે 44) આજે બપોરે 3.15 કલાકના અરસામાં તેમના ઘરે લીમડાના ઝાડ નીચે ખાટલો રાખી સુતા હતા ત્યારે તેમના પત્નિ મધુબેન સવજીભાઈ બારૈયાએ તેમને ખાટલે દોરી વડે બાંધી કેરોસિન છાંટી સળગાવી દેતા સવજીભાઈ જીવાભાઈ બારૈયાનું મોત થયું હતું. પત્નીએ પતિને સળગાવ્યા બાદ કોઈ બચાવવા ન આવે તે માટે લાકડી લઈને આડી ઊભી રહી લોકોને જતા અટકાવતી હતી. તળાજા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ અંગે લક્ષ્મણભાઈ જીવાભાઈ બારૈયાએ તળાજા પોલીસ મથકમાં મધુબેન સવજીભાઈ બારૈયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પતિ પત્નિ વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો અને અવારનવાર ઝઘડો થતાં હોવાને લીધે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે. આ દંપતિને સંતાનમાં અનીતાબેન નામની એક દીકરી છે જેમના લગ્ન થઈ ચુકયા છે. આ મામલે પોલીસે મહિલાની અટક કરી હતી.