મોદી વારાણસી અને અમદાવાદ પુર્વ બંને જગ્યાએ ચૂંટણી લડશે
P.R
આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી રહી છે અને તેમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવશે. ભાજપ આજે ૧૦૦ લોકસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે.
પક્ષના સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના ટોચના નેતૃત્વ દ્વારા આજે નેતૃત્વ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, બિહાર, પ.બંગાળ, મ.પ્રદેશ, ઓડિશા, આંધ્ર અને આસામ જેવા રાજયો તથા પુર્વોત્તર રાજયો માટે ઉમેદવારોની જાહેરાત કરશે. આ રાજયોમાં ૭ અને ૯ એપ્રિલે મતદાન થશે.
આજની બેઠકમાં અડવાણી, રાજનાથસિંહ, મોદી, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, મુરલી મનોહર જોશી જેવા નેતાઓ ઉમેદવારોની યાદી ઉપર ચર્ચા કરવા અને તેને અંતિમ ઓપ આપવા માટે બેઠકમાં ભાગ લેશે.
ઉમેદવારોની અંતિમ યાદી માટે હવે પછીની બેઠક આવતા સપ્તાહે યોજાશે.
આજે કદાચ ચૂંટણીની સમિતિની બેઠક યુપી અને કર્ણાટકના ઉમેદવારો પણ પસંદ કરે તેવી શકયતા છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી અને અમદાવાદ પુર્વથી, રાજનાથસિંહ લખનૌથી, મુરલી મનોહર જોશી કાનપુરથી, અડવાણી ગાંધીનગરથી, કલ્યાણસિંહ ઇટાહથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે તેવી સંભાવના છે. જો કે આજે મોદી અને અન્ય ટોચના નેતાઓના નામો આજે જાહેર નહી કરાય. આજે યુપીના નામો પણ જાહેર નહી કરાય પરંતુ તે ૧૩મી માર્ચના રોજ જાહેર કરાશે.
મોદી વારાણસી અને અમદાવાદ પુર્વ બંને જગ્યાએ ચૂંટણી લડશે. વારાણસીની બેઠક ભાજપ માટે ઘણી મહત્વની છે. આ બેઠક ઉપર મોદી ઝંપલાવશે એટલે સમગ્ર યુપીમાં તેની અસર પડશે અને ભાજપને તેનો ફાયદો થશે.