સંબંધિત સમાચાર
- પાટણ ભાજપમાં 'સફાયો': ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 26 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ
- કોણ છે મિતેશ પટેલ ? ગુજરાત BJP ના સાંસદ જેમણે કોંગ્રેસના જીતવા પર આપી ગ્રાંટ રોકવાની ધમકી, જાણો શુ છે આખો મામલો
- ચૂંટણી જંગ માટે તંત્ર સજ્જ: અમદાવાદમાં 4257 મતદાન બૂથ તૈયાર, ગરમીને જોતા દરેક કેન્દ્ર પર ORS અને મેડિકલ કિટની સુવિધા
- રાજ્ય ચૂંટણી પંચનો મોટો આદેશ - સોશિયલ મીડિયા કેમ્પેઇન પાછળ થતા લાખોના ખર્ચનો હિસાબ નોંધાવવો હવે થયો ફરજિયાત
- રાજકોટ મનપા ચૂંટણી: ભાજપે ઉતાર્યું 'બ્રહ્માસ્ત્ર', પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા મેદાનમાં આવતા રાજકીય સમીકરણો બદલાયા
સુરેન્દ્રનગર ભાજપમાં ભૂકંપ: પક્ષ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ સાથે કૃષ્ણસિંહ રાણા 6 વર્ષ માટે સસ્પેન્ડ
સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. લીંબડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણાને ભારતીય જનતા પાર્ટીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપના આ કડક વલણને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન પક્ષની શિસ્તનો ભંગ કરવા બદલ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના ગંભીર આક્ષેપોને ધ્યાને રાખીને તેમને તમામ હોદ્દાઓ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.
પાર્ટીના આ નિર્ણય સામે કૃષ્ણસિંહ રાણાએ પોતાનો બચાવ કરતા એક અલગ જ પક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે, તેમણે પોતે જ પોતાની અંગત અને સામાજિક જવાબદારીઓને કારણે પક્ષ પાસેથી 6 મહિના માટે રાજકીય કામગીરીમાંથી મુક્તિ માંગી હતી. રાણાએ સ્પષ્ટતા કરી હતી કે હાલના સંજોગોમાં તેઓ પક્ષના કામ માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. પક્ષ દ્વારા લેવામાં આવેલા આકરા નિર્ણય પાછળ તેમની ગેરહાજરી કારણભૂત હોઈ શકે છે તેવું તેમનું માનવું છે.
પોતાના પર લાગેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપોને રાણાએ સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, કેટલાક તત્વો ચૂંટણીના સમયે તેમને બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેમણે પોતાને પક્ષના નિષ્ઠાવાન અને શિસ્તબદ્ધ કાર્યકર ગણાવતા કહ્યું કે, જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે. આ નિવેદનને પગલે રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે અને સોશિયલ મીડિયા પર પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
કૃષ્ણસિંહ રાણાએ આ મામલે ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું છે કે, જો કોઈની પાસે તેમની વિરુદ્ધ પક્ષ વિરોધી પ્રવૃત્તિના પુરાવા હોય તો તે જાહેર કરે. તેમણે ભાવુક થઈને નિવેદન આપ્યું કે જો પુરાવા સાબિત થશે તો તેઓ કાયમ માટે જાહેર જીવન છોડી દેશે. હાલમાં આ મુદ્દો સુરેન્દ્રનગર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જ્યાં એક તરફ પક્ષે શિસ્તના નામે ગાજ પાડી છે, તો બીજી તરફ રાણાએ આ લડતને વ્યક્તિગત પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો છે.
