1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. ગુજરાતી આરતી સંગ્રહ
Written By વેબ દુનિયા|

મહાત્મા ગાંધી... વૈષ્ણવ જન તો...

વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે,
પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
.... વૈષ્ણવ જન...
સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન-ધન જનની તેની રે.
.... વૈષ્ણવ જન...
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે,
જિહવા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
.... વૈષ્ણવ જન...
મોહ માયા વ્યાપે નહીં જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.
.... વૈષ્ણવ જન...
વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે,
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ ઇકોતેર તાર્યાં રે.
.... વૈષ્ણવ જન...

( નરસિંહ મહેતા )