શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 8 નવેમ્બર 2020 (12:24 IST)

એચડીએફસી બેંકના CIO પદે રમેશ લક્ષ્મીનારાયણનની નિમણૂક

નવી દિલ્હી: એચડીએફસી બેંક લિમિટેડે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના પોતાના ગ્રૂપ હેડ તરીકે રમેશ લક્ષ્મીનારાયણનની નિમણૂક કરી છે. તેઓ ચીફ ઈન્ફોર્મેશન ઓફિસર (સીઆઈઓ)નું પદ સંભાળશે અને બેંકની ટેક્નોલોજીના પરિવર્તનને લગતી કામગીરીને નવા સ્તરે લઈ જવાની જવાબદારી સંભાળશે. 
 
બેંકના તમામ સ્તરે તેમની ભૂમિકા હશે. તેઓ બેંકની ટેક્નોલોજીને લગતી વ્યૂહરચના, ફાઉન્ડેશનલ ટેક્નોલોજીને સુદ્રઢ બનાવવા, ડિજિટલ ક્ષમતામાં વધારો અને નવા યુગના એઆઈ/એમએલ ટેક્નોલોજી સોલ્યુશનના ઉપયોગ માટે જવાબદાર રહેશે.
 
રમેશ લક્ષ્મીનારાયણને આ પહેલાં ક્રિસિલમાં ત્રણ વર્ષ સુધી ચીફ ટેક્નોલોજી એન્ડ ઈન્ફોર્મેશન ઓફિસરના પદે સેવા આપી હતી. અહીં તેઓ ટેક્નોલોજી, ડેટા અને વિશ્લેષણનો લાભ લઈ ક્રિસિલના વ્યવસાયમાં પરિવર્તન લાવવાની જવાબદારી સંભાળતા હતા. ક્રિસિલ સાથે જોડાતા પહેલા તેઓ પ્રેગમેટીક્સ સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડ નામના બિગ ડેટા અને એનાલીટિક્સ સ્ટાર્ટ અપ સાથે સંકળાયેલા હતા, જેના તેઓ સહસ્થાપક હતા. 2017માં આ સ્ટાર્ટઅપને ક્રિસિલે હસ્તગત કર્યું હતું.
 
રમેશ લક્ષ્મીનારાયણને જણાવ્યું હતું કે, હું ભારતના ખાનગી સેક્ટરની અગ્રણી બેંક સાથે નવી ઈનિંગ શરૂ કરીને એક નવો મોરચો સંભાળી રહ્યો છું, જે મારા માટે એક રોમાંચક ક્ષણ છે. એચડીએફસી બેંકમાં ગ્રાહકો માટે પ્રોડક્ટ્સ અને સેવાઓમાં વધારો કરવો એ સતત ચાલતી પ્રક્રિયા છે. બેંક ટેકનોલોજીનો લાભ લેવામાં ટોચના સ્થાને જળવાઈ રહે તેની ખાતરી કરવા માટે હું મારા અનુભવ અને ટેક્નોલોજીની સમજ, નવા ડિજિટલ પ્લેટફોર્મ્સ, ડેટા અને એનાલીટિક્સનો ઉપયોગ કરી શકીશ તેવી મને આશા છે.