શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 31 ઑગસ્ટ 2020 (12:22 IST)

અમૂલની ફ્રેન્ચાઇઝી કે ડીલરશિપ લેવા માંગો છો! તો પહેલાં આ સમાચાર જરૂર વાંચી લેજો

દિલ્હી હાઈકોર્ટનાં જસ્ટીસ મુક્તા ગુપ્તાએ એક સિમાચિન્હરૂપ હુકમ આપ્યો છે કે જેનાથી ‘અમૂલ’બ્રાન્ડની નકલ કરીને ફેક વેબસાઈટસ મારફતે નોકરી/ફ્રેન્ચાઈઝી/ડીલરશિપ ઓફર કરીને ભોળી જનતાજેનો ભોગ બની નોંધપાત્ર પ્રમાણમાં નાણાં ગુમાવતી હતી તેવા ઓનલાઈન છેતરપીંડી ઉપર નિયંત્રણ આવશે. 
 
કોર્ટે ‘અમૂલ’ના ટ્રેડમાર્ક અધિકારનો ભંગ કરવાની સાથે સાથે  જનતાનાં હિતોને નુકશાન કરી છેતરપીંડી કરતી પ્રવૃત્તિઓનો અંત લાવવા ટેલિકોમ વિભાગ, માહિતી ટેકનોલોજી વિભાગ અને નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડીયાને આવી ખોટી ઈન્ટરનેટ વેબસાઈટનો એકસેસ બ્લોક કરવા જણાવ્યુ છે.
 
દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અને ઘેરઘેર જાણીતા નામ‘અમૂલ’ને મોટી રાહત આપતાં અદાલતે ગો ડેડી, નેમચીપ, ફ્રીડમ, બીગરોક જેવા ડોમેઈન રજીસ્ટ્રાર કંપનીઓને આગળ કે પાછળ અમૂલનુ નામ જોડીને કોઈ પણ કોમ્બીનેશન વડે વેચાણ કરાતાં કે સેલ ડોમેઈન નામ ઓફર કરવા સામે નિયંત્રણ મુકવા જણાવ્યુ છે. અદાલતે એવુ પણ અવલોકન કર્યુ છે કે એક પ્રસિધ્ધ ટ્રેડમાર્ક હોવાને કારણે ‘અમૂલ’આ પ્રકારની સુરક્ષાને પાત્ર છે. એવુ કહેવામાં આવે છે કે આ હુકમથી હવે મહદ્અંશે અમૂલને લગતી ફેક વેબસાઈટ ઉભી થવાનું અટકશે. 
 
આ હુકમથી‘અમૂલ’ને એક  મોટી રાહત થઈ છે કારણ કે સમગ્ર ભારતમાંથી નકલી અથવા તો ખોટી વેબસાઈટસ મારફતે ગેરકાયદે ‘અમૂલ’ની ડીલરશીપ, ડીસ્ટ્રીબ્યુટરશીપ અને નોકરીઓ વગેરે ઓફર કરીને રૂ. ૨૫૦૦૦ થી ૧૦ લાખ સુધીની છેતરપીંડી કરવામાં આવી રહી હોવાની વિવિધ લોકોની ફરિયાદો અમૂલને મળતી હતી. આવી ફરિયાદો મળતાં અમૂલે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવવાની સાથે સાથે ડોમેઈન નામોનુ વેચાણ કરનાર ડોમેઈન રજીસ્ટ્રારને નોટિસ પણ ઈસ્યુ કરી હતી. 
 
આ બાબતને એડવોકેટ અભિષેક સિંઘ દ્વારા અમૂલ તરફથી પક્ષ રાખતા જણાવેલ કે હકારાત્મક પ્રતિભાવ નહી મળતાં તથા કામચલાઉ ધોરણે સસ્પેન્ડ થયેલી વેબસાઈટસ ફરીથી બહાર આવીને કામે લાગી જતાં અળવીતરા લોકો ‘અમૂલ’જેવી પ્રસિધ્ધ બ્રાન્ડ જેવાં ભળતાં નામ ધરાવતી ઠગ વેબસાઈટ ખરીદે છે. અને ડીલરશીપ, ડીસ્ટ્રીબ્યુટરશીપ કે નોકરીઓ વગેરે ઓફર કરીને છેતરપીંડી કરે છે તેની અદાલતે ગંભીર નોંધ લીધી હતી. 
 
અદાલતે ગો ડેડીની એવી દલીલ ફગાવી દીધી હતી કે તેમને એવી કોઈ ટેકનોલોજીની જાણ નથી કે જેનાથી ખાત્રી આપી શકાય કે અમૂલ જેવુ નામ ધરાવતી વેબસાઈટનુ વેચાણ કરી શકાય નહી. અદાલતે વધુમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બંધન બેંક, ઈન્ડસઈન્ડ બેંક ના ૧૬ ખાતા, (કે જેમાં ખાતા ખોલીને લોકોની સાથે છેતરપીંડી થયેલ છે.) તમામ ખાતાધારકોના નામ, તેમનાં સરનામાં, સંપર્કની વિગત તથા બેંકનાં સ્ટેટમેન્ટ સહિતની તમામ વિગતો રજૂ કરવા જણાવ્યું છે.
 
કોવિડ-૧૯ પ્રસરવાની સાથે છેલ્લા થોડાક મહિનાઓથી ઓનલાઈન છેતરપીંડીનુ પ્રમાણ અતિશય વધી રહ્યુ છે ત્યારે અદાલતનો આ હુકમ ‘અમૂલ’તથા જાહેર જનતાને રાહત આપનારો બની રહેશે.