1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 22 માર્ચ 2022 (09:28 IST)

ગુજરાતમાં ટોપ ગિયરમાં ઇ-વ્હીકલનું વેચાણ, 2 વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં થયો અધધ ટકાનો વધારો

દેશભર સહિત રાજ્યમાં વધતી જતી પેટ્રોલ-ડીઝલ અને સીએનજીની વધતી કિંમતો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવતી સબસિડી અને નવી ટેકનોલોજીમાં સતત અપગ્રેડેશનને કારણે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. ભારતના પરિવહન મંત્રાલયના આંકડા દર્શાવે છે કે હાલમાં દેશના રસ્તાઓ પર 10 લાખ ઇલેક્ટ્રિક વાહનો દોડે છે. ખાસ કરીને કોરોનાના આગમન પછી, 2021 માં EV રજીસ્ટ્રેશનમાં 160% નો ઉછાળો નોંધાયો છે. જેમાં માત્ર ગુજરાતમાં 956% ટકાનો વધારો નોંધાયો છે. 
 
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો છે. રાજ્યમાં 2019માં ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનની સંખ્યા 944 હતી જે વધીને 2020માં 1119 થઇ હતી. 2021માં નોંધપાત્ર રીતે વધારો થઇ 9778 ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. બે વર્ષમાં જ ઇલેક્ટ્રિક વાહનોમાં 956 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેની સામે પેટ્રોલ-ડીઝલના વાહનોના રજિસ્ટ્રેશનમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
 
ડિસેમ્બર 2021 માં, લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં, સરકારે કહ્યું કે 12 ડિસેમ્બર 2021 સુધીમાં, દેશમાં 27.34 કરોડ વાહનો છે, જેમાંથી 8.77 લાખ ઇલેક્ટ્રિક વાહનો છે. પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર, 2 ફેબ્રુઆરી, 2022 સુધીમાં, દેશમાં 28.24 કરોડ વાહનો છે, જેમાંથી 10 લાખ ઇલેક્ટ્રિક વાહનો છે.
 
પેટ્રોલ-ડીઝલ વાળા વાહનોમાં 254 ટકાનો ઘટાડો
2019માં 16.16 લાખ પેટ્રોલ-ડીઝલના વાહનોના રજિસ્ટ્રેશન સામે 2021માં 12.09 લાખ વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલના વાહનોમાં 254 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં 2019માં 1.65 લાખ ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા હતા જાય્રે 2020માં થોડો ઘટાડો થઇ 1.23 લાખ વાહનો નોંધાયા હતા જ્યારે 2021માં નોંધપાત્ર રીતે વધારો થઇ 3.25 લાખ વાહનો નોંધાયા હતા. રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
 
જોય ઈ-બાઈક નિર્માતા વર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીએફઓએજણાવ્યું હતું કે સરકાર આક્રમક રીતે ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની સબસિડી સાથે છેલ્લા બે વર્ષથી પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ તમામ પરિબળોએ ઈ-વાહનો પ્રત્યે ગ્રાહકોની માનસિકતા બદલી છે, જે વેચાણના આંકડામાં સ્પષ્ટ છે. તે જ સમયે, વાહન ઉત્પાદકો નવા મોડલ લોન્ચ કરી રહ્યા છે. ખાસ કરીને યુવાનો માટે.
 
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સના ડાયરેક્ટરે કહ્યું હતું કે ઈલેક્ટ્રિક વાહનો ખાસ કરીને 2-વ્હીલર્સમાં ઘણા નવા મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે, જેના કારણે 2021માં વેચાણમાં વધારો થયો છે. નજીકના ભવિષ્યમાં તેનું વેચાણ ખૂબ જ ઝડપથી વધશે. કારણ કે, હવે યુવાનોમાં ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે.
 
જાપાની કાર નિર્માતા સુઝુકી મોટર કોર્પોરેશન (SMC) એ 2026 સુધીમાં ગુજરાતમાં 150 અબજ યેન (રૂ. 10,445 કરોડ)ના રોકાણની જાહેરાત કરી છે. આ હેઠળ, ટૂંક સમયમાં એક બેટરી પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે અને અહીં બેટરી ઇલેક્ટ્રિક વાહનો (BEV) અને BEV બેટરીઓનું ઉત્પાદન કરવામાં આવશે. રવિવારે આ માહિતી આપતા, કંપનીએ જણાવ્યું હતું કે તેણે આ સંદર્ભમાં ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
 
સુઝુકી મોટર કોર્પોરેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ કરાર 19 માર્ચ, 2022ના રોજ નવી દિલ્હીમાં આયોજિત ઈન્ડિયા-જાપાન ઈકોનોમિક ફોરમમાં કરવામાં આવ્યો હતો. જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.”આ પ્રસંગે બોલતા, તોશિહિરો સુઝુકી પ્રતિનિધિ નિયામક અને SMCના પ્રમુખે જણાવ્યું હતું કે, “સુઝુકીનું ભાવિ મિશન નાની કાર સાથે કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરવાનું છે. અમે આત્મનિર્ભર ભારત માટે અહીં રોકાણ કરવાનું ચાલુ રાખીશું.
 
એમઓયુ હેઠળ, કંપનીની સંપૂર્ણ માલિકીની એકમવાળી સુઝુકી મોટર ગુજરાત પ્રા. (SMG) 2026 સુધીમાં SMCની હાલની ફેક્ટરી પાસે BEV બેટરીના ઉત્પાદન પ્લાન્ટ પર રૂ. 7,300 કરોડનું રોકાણ કરશે. આ ઉપરાંત, SMC 2025 સુધીમાં BEV ઉત્પાદનની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે રૂ. 3,100 કરોડનું રોકાણ પણ કરશે. અન્ય જૂથ કંપની, મારુતિ સુઝુકી ટોયોત્સુ ઈન્ડિયા પ્રાઈવેટ લિ. 2025 સુધીમાં વાહન રિસાયક્લિંગ પ્લાન્ટના નિર્માણ પર 45 કરોડ રૂપિયાનું વધુ રોકાણ કરશે.