1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. ગુજરાત બજેટ 2022
Written By
Last Updated : બુધવાર, 2 માર્ચ 2022 (14:50 IST)

સ્કીલ ઇન્ડીયા અંતગર્ત ટાટાએ ગુજરાતમાં શરૂ કરી ઇન્સ્ટીટયુટ, વિદ્યાર્થીઓને મળશે વિશ્વકક્ષાની સર્વશ્રેષ્ઠ તાલીમ અને શિક્ષણ

સ્કીલ ઇન્ડીયા અંતગર્ત ટાટાએ ગુજરાતમાં શરૂ કરી ઇન્સ્ટીટયુટ, હવે અહીં મળશે ફોરેન જેવું શિક્ષણ
 
ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સ-અમદાવાદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં રાજ્ય સરકાર-કેન્દ્ર સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેનીયોરશીપ મંત્રાલય તથા ટાટા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સ વચ્ચે ત્રિપક્ષીય કરાર સંપન્ન થયા છે. શ્રમ-રોજગાર મંત્રીની પ્રેરક ઉપસ્થિતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા ‘‘સ્કીલ ઇન્ડીયા’’ મિશન અંતર્ગત સ્થપાશે ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સની સ્થાપના કરાઇ હતી. 
 
કૌશલ્ય ક્ષેત્રે નિતનવા આયામો સર કરી રહેલા ગુજરાતની સ્કીલ ઇકો સિસ્ટમને વધુ સુદ્રઢ કરવા સાથે યુવાધનને કૌશલ્ય સાથે શિક્ષણ માટે ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સની સ્થાપનાના હેતુસર ગુજરાત સરકાર, ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેનીયોરશીપ મંત્રાલય તથા ટાટા આઇ.આઇ.એસ વચ્ચે ત્રિપક્ષીય કરાર ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ ત્રિપક્ષીય કરાર પર ત્રણેય ભાગીદારોએ હસ્તાક્ષર કરીને પરસ્પર આપ-લે કરી હતી. શ્રમ-રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા આ વેળાએ સહભાગી થયા હતા. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, કૌશલ્ય વિકાસના આ મિશનમાં IIS-Ahmedabad અનેરૂ સ્થાન ધરાવે છે. જે રીતે મેનેજમેન્ટ ક્ષેત્ર માટે Indian Institutes of Management (IIMs) અને ટેકનોલોજી ક્ષેત્ર માટે Indian Institutes of Technology (IITs) વિશ્વ પ્રસિદ્ધ છે તે જ રીતે Indian Institutes of Skills (IISs) કૌશલ્ય ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવે તેવા અભિગમ સાથે આ શૈક્ષણિક સંસ્થા સ્થાપવામાં આવનાર છે. આ સંસ્થામાં વિદ્યાર્થીઓને નવીનત્તમ ટેક્નોલોજી અને ઉપકરણો સાથે વિશ્વકક્ષાની સર્વશ્રેષ્ઠ તાલીમ અને શિક્ષણ મળી રહેશે. એટલું જ નહિ, વિદ્યાર્થીઓને ઉદ્યોગો સાથે સંકળાયેલ પદ્ધતિ અને ઉપકરણો વિશે અદ્યતન જ્ઞાન અને તાલીમ મળી રહે તે માટે વિવિધ ઉદ્યોગો સાથે જોડાણ પણ કરવામાં આવશે.
 
રાજ્યના યુવાઓને કૌશલ્યલક્ષી અદ્યતન તાલીમ મળી રહે અને યુવાનો કૌશલ્ય ક્ષેત્રે આગળ વધીને ગુજરાતનું નામ વિશ્વભરમાં રોશન કરે તે હેતુથી ગાંધીનગરના નાસ્મેદ ખાતે અદ્યતન માળખાકીય સુવિધાઓ સાથે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સ-અમદાવાદની સ્થાપના થવા જઇ રહી છે, તેના માટે ગુજરાત સરકાર દ્વારા ર૦ એકર જમીન ફાળવવામાં આવેલી છે. 
 
આ ત્રિપક્ષીય કરાર હસ્તાક્ષર અવસરે શ્રમ-રોજગાર વિભાગના અગ્ર સચિવ મતી અંજુ શર્મા, રોજગાર અને તાલિમ નિયામક લલિત નારાયણસિંઘ સંધુ, ભારત સરકારના અધિકારીઓ તેમજ ટાટા ટ્રસ્ટના સી.ઇ.ઓ એન. નાથ, સી.એફ.ઓ મહેરાબ ઇરાની, ટાટા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સના સી.ઇ.ઓ સબ્યસાચીદાસ અને સિનીયર એડવાઇઝર નિવાસ તેમજ શ્રમ-રોજગાર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.