ભારત ઉપરના ટેરિફ હઠાવવા અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર લાદવામાં આવેલા ટેરિફને ખતમ કરવા માટે અમેરિકાની સંસદમાં (કૉંગ્રેસ) પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
રાજા કૃષ્ણમૂર્તી, ડેબોરા રૉસ તથા માર્ક વીસી એમ ત્રણ સંસદસભ્યોએ આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. પ્રસ્તાવમાં જણાવ્યા પ્રમાણે, તેનો હેતુ અમેરિકાની સંસદના બંધારણીય અધિકારોને બહાલ કરવાનો તથા ભારત ઉપર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને દૂર કરવાનો છે.
રાજા કૃષ્ણમૂર્તિનું કહેવું છે, "ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પ્રત્યેની બેજવાબદારીપૂર્ણ નીતિને કારણે એક મહત્ત્વપૂર્ણ ભાગીદારી નબળી પડી રહી છે. અમેરિકાના હિતોને આગળ વધારવાને બદલે આવા ટેરિફ સપ્લાઈ ચેઇનને અવરોધિત કરે છે. અમેરિકાના શ્રમિકોને નુકસાન કરે છે તથા વપરાશકર્તાઓ માટે ખર્ચ વધારે છે."
માર્ક વીસીનું કહેવું છે, "ભારત મહત્ત્વપૂર્ણ સાંસ્કૃત્તિક, આર્થિક તથા વ્યૂહાત્મક ભાગીદાર છે તથા આ પ્રકારના ગેરકાયદેસર ટેરિફ એક રીતે સામાન્ય જનતા ઉપર કર લાદવા જેવું છે."
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલાં ભારત ઉપર 25 ટકા ટેરિફ લાદ્યો હતો, પરંતુ ઑગસ્ટ મહિનામાં રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદવા મુદ્દે ટ્રમ્પે વધારાનો 25 ટકા ટેરિફ નાખ્યો હતો.