શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Updated : સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (01:22 IST)

સોમવારે જરૂર કરો મહામૃત્યુંજય મંત્રનો જાપ, રોગ અને મૃત્યુના ભયથી બચાવશે મહાદેવ

મહામૃત્યુજય મંત્ર એક શ્લોક છે. જેનું વર્ણન આપણને ઋગ્વેદ માં મળે છે. ઋગ્વેદમાં આ મંત્ર ને ખૂબ જ શક્તિશાળી બતાવામાં આવ્યો છે. ઋગ્વેદ અનુસાર આ મંત્ર નો જાપ કરવાથી મૃત્યુથી બચી શકાય છે. આ મંત્ર દ્વારા આપણે ભગવાન શિવજી પાસે એક સ્વસ્થ જીવનની કામના કરીએ છીએ. ઋગ્વેદમાં આ રીતે મૃત્યુંજય મંત્ર બતાવવામાં  આવ્યો  છે. 
 
 ૐ ત્રયમ્‍બકં યજામહે,  સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।
 ઉર્વારૂકમિવ બન્‍ધનામ્, મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।। 
 
કેવી રીતે થઈ મહામૃત્યુંજય મંત્રની રચના 
 
મહામૃત્યુંજય મંત્રની રચના કરનારા માર્કંડેટ ઋષિ તપસ્વી અને તેજસ્વી મૃકંડ ઋષિના પુત્ર હતા. ખૂબ તપસ્યા બાદ મૃકંડ ઋષિના ઘરે પુત્રનો જન્મ થયો, જેનું નામ માર્કંડેટ રાખ્યું. પરંતુ બાળકના લક્ષણ જોઈને જ્યોતિષિઓએ કહ્યું કે, આ શિશુ અલ્પાયુ છે અને તેની ઉંમર માત્ર 12 વર્ષ છે.
 
જ્યારે માર્કંડેયનું શિશુકાળ ખતમ થયો અને તે બોલવા અને સમજવા યોગ્ય થયા ત્યારે તેમના પિતાએ અલ્પાયુની વાત કરી. સાથે જ શિવજીની પૂજાનો મંત્ર આપતા કહ્યું શિવ જ તને મૃત્યુના ભયથી મુક્ત કરાવી શકે છે. ત્યારે બાળક માર્કંડેયે શિવ મંદિરમાં બેસીને સાધના શરૂ કરી દીધી. જ્યારે માર્કંડેયના મૃત્યુનો દિવસ નિકટ આવ્યો ત્યારે તેમના માતા-પિતા પણ મંદિરમાં શિવ સાધવા માટે બેસી ગયા.
 
જ્યારે માર્કંડેયના મૃત્યુનો સમય નિકટ આવ્યો તો યમરાજના દૂત તેમને લેવા આવ્યા. પરંતુ મંત્રના પ્રભાવના કારણે તેઓ બાળકની પાસે આવવાની હિંમત ન કરી શક્યા અને મંદિરની બહારથી જ પાછા જતા રહ્યા. તેમણે જઈને યમરાજને સમગ્ર વાત જણાવી. તેના પર યમરાજ સ્વયં માર્કંડેયને લેવા માટે આવ્યા. યમરાજની લાલ આંખો, ભયાનક રૂપ, ભેંસની સવારી અને હાથમાં શસ્ત્ર જોઈને બાળ માર્કંડેય ડરી ગયા અને તેમણે રડતા રડતા શિવલિંગને બાથ ભરી લીધી.
 
જેવું માર્કંડેયએ શિવલિંગને આલિંગન કર્યું સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા અને ક્રોધિત થઈને યમરાજને કહ્યું મારી શરણમાં બેઠેલા ભક્તને મૃત્યુદંડ આપવાનો વિચાર પણ તમને કેવી રીતે આવ્યો? તેના પર યમરાજ બોલ્યા, પ્રભુ હું ક્ષમા ઈચ્છું છું. વિધાતાએ કર્મોના આધારે મૃત્યુદંડ આપવાનું કામ મને સોંપ્યું છે. હું તો માત્ર મારી ફરજ નિભાવવા આવ્યો છું. તેના પર શિવ બોલ્યા મેં આ બાળકને અમરતાનું વરદાન આપ્યું છે. શિવ શંભૂના મોઢેથી આ વાત સાંભળીને યમરાજ તેમને પ્રણામ કર્યા અને ક્ષમા માગીને ત્યાંથી જતા રહ્યા. આ કથા માર્કંડેય પુરાણમાં છે.
 
મહામૃત્યુંજય મંત્ર : ॐ त्र्यम्बक यजामहे सुगन्धिं पुष्टिवर्धन्म। उर्वारुकमिव बन्धनामृत्येर्मुक्षीय मामृतात् !!
 
પૌરાણિક કથાઓ મુજબ આ મંત્ર ખૂબ જ પ્રાચીન અને પવિત્ર મંત્રોમાંનો એક છે. આ મંત્રનો જો યોગ્ય રીતે જાપ કરવામાં આવે તો તે લોકોના માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થય માટે લાભકર્તા છે. એવું કહેવાય છે કે આ મંત્રમાં મૃત્યુ પામેલાને ફરી સજીવન કરવાની શક્તિ રહેલી છે.
 
આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય ઓછો થાય છે સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતી વખતે જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો સ્વાસ્થ્ય લાભ થાય છે.
 
મંત્રના દરેક શબ્દનો મતલબ
ત્ર્યંબકમ્- ત્રણ નેત્રોવાળા
યજામહે- જેમનું આપણે હ્રદયથી સન્માન અને પૂજા કરીએ છીએ.
સુગંધિમ- જે એક મધુર સુગંધ સમાન છે
પુષ્ટિઃ – વિકાસની સ્થિતિ
વર્ધનમ્- જે પોષણ કરે છે, વધવાની શક્તિ આપે છે
ઉર્વારૂકમ્- કાકડી
ઈવ- જેમ, આવી રીતે
બંધનાત્- બંધનોથી મુક્ત કરાવનારા
મૃત્યોઃ – મૃત્યુથી
મુક્ષીય- અમને સ્વતંત્ર કરો, મુક્તિ આપો
મા – ના
અમૃતાત્- અમરતા, મોક્ષ