શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

ગુજરાતની ગરિમા વધારશે ગાંધી મંદિર...!

W.D
W.D
આજકાલ વર્તમાન પત્રોમાં એક સમાચાર ખુબ જ ચર્ચામાં છે. સાંભળ્યું છે કે, ગુજરાતમાં એક ભવ્ય ગાંધીમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આપણે સહુ જાણીએ છીએ કે, 1 મે ના રોજ ગુજરાતની સ્થાપનાની સ્વર્ણ જયંતિ છે. આ દિવસે રંગારંગ કાર્યક્રમો તો યોજાશે જ પરંતુ સાથોસાથ ભવ્ય ગાંધી મંદિરનું ભૂમિ પૂજન પણ કરવામાં આવશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ આ મંદિરના નિર્માણ પાછળ 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ આંકડો જતે સમયે વધી પણ શકે તેમાં કોઈ નવાઈ નહીં. કહેવાય છે કે, મંદિરના બાંધકામના પ્રથમ ચરણ માટે દુનિયાભરમાંથી પવિત્ર જળ અને સમુદ્વી રેતીને લાવવામાં આવશે.

મંદિરના નિર્માણ થકી ગુજરાત સરકારનો મુખ્ય ધ્યેય માત્ર ગાંધી જ્ઞાનનો પ્રસાર કરવા પૂરતો સિમિત ન રહેતા દુનિયાભરના પર્યટકોને ગુજરાતની ભૂમિ તરફ આમંત્રિત કરવાનો પણ છે. સમાચારો અનુસાર આગામી વર્ષે ડિસેમ્બર 2011 સુધીમાં મંદિરના બાંધકામનું પ્રથમ ચરણ પૂર્ણ થઈ જશે જેથી કદાચ ગુજરાત સરકાર વાઈબ્રેંટ ગુજરાતના વૈશ્વિક રોકાણકારોના સમ્મેલનનું આયોજન આ સ્થળે કરી શકશે.

ગુજરાત રાજ્ય સરકારે વિદેશોમાં રહેતા ગુજરાતી બંધુઓને પણ આ પવિત્ર સ્થળે પોતાના દેશનું જળ અને સમુદ્રી માટીને લઈને આવવા માટે અનુરોધ કર્યો છે. એનઆઈઆઈ ગુજરાતી બંધુઓ પણ તેમાં પૂરતો સહયોગ દાખવી રહ્યાં છે. એક મે ના રોજ મંદિરનું ભૂમિ પૂજન છે અને તેને બનાવવા માટે એલ એંડ ટી કંપનીને કોંટ્રેક્ટ આપવામાં આવ્યો છે.

આવનારા સમયમાં અક્ષરમંદિર બાદ ગાંધીમંદિરના કારણે પણ ગાંધીનગર વિશ્વના નકશામાં ચર્ચામાં રહેશે તેમાં કોઈ સ્થાન નથી. કારણ કે, ગાંધીનગરનું નામ આમ પણ ગાંધીના નામથી જ શરૂ થાય છે. અહીં અત્યાર સુધી દેશના રાષ્ટ્રપિતાના એક અવિસ્મરણીય સ્મારકનો અભાવ દેખાતો હતો. આ ભવ્ય મંદિરના નિર્માણના માધ્યમથી ગુજરાત સરકારે તે કસર પૂરી કરી છે. બની શકે કે હવે, ગાંધી મંદિરની ટપાલ ટિકિટ પણ પોસ્ટ વિભાગ વહેતી કરે તેના વિષે મને વધુ માહિતી નથી પરંતુ એક વાત તો સત્ય છે કે, હવે ગુજરાત સરકાર પર્યટનને વેગ આપવા માટે પૂરી રીતે કમર કસતી થઈ ગઈ છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તેના માટે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર પદે બિરાજમાન કરી દીધા છે. મોદીએ ગાંધીની છબીને પોતાના મસ્તિકમાંથી એક ક્ષણ માટે પણ ઓજલ થવા દીધી નથી હાં એક તફાવત અહીં જરૂર જોવા મળી રહ્યો છે કે, આજદિવસ સુધી ભાજપના જે લોકો પોતાના નેતાઓમાં સરદાર પટેલની છબિને નિહાળતા હતાં તે સ્થાન હવે ગાંધી બાપૂએ લઈ લીધું છે.

આમ પણ ગુજરાતે ગાંધીની ગરિમા જાળવી રાખી છે. પોરબંદરનું કીર્તિ મંદિર હોય કે, અમદાવાદનો સાબરમતી આશ્રમ કે પછી ગુજરાત વિદ્યાપીઠ. આ તમામ એવા સ્થળો છે જ્યાં હજુ પણ ગાંધીજીવાદી જીવનશૈલીના દર્શન અને ગાંધીવાદી જીવનશૈલી અપનાવતા વિદ્યાર્થીઓ અને લોકો આપને અચુક જોવા મળી જશે. અહીં ' વૈષ્ણવ જન તો એને રે કહીએ' ભજન દરરોજ સવારે સાંભળવા મળે છે. રેટિંયો હસ્તા મોઢે પોતાનું કામ કરે છે.' એટલું જ નહીં અહીં અવારનવાર વિદેશી સહેલાણીઓનો મેળાવડો પણ જામે છે.

કદાચ ગુજરાત સરકાર વિદેશી સહેલાણીઓને ગાંધીથી વધુ નજીક લાવવા ઈચ્છતી હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ તેણે જંગી ખર્ચે ભવ્ય ગાંધી મંદિર બનાવવાનો પ્રોજેક્ટ હાર્થ ધર્યો છે. આ મંદિરના બાંધકામ તરફ ધ્યાન આપીએ તો તેમાં ગર્ભગૃહ ઉપરાંત એક આંતરરાષ્ટ્રીય સ્તરનું કન્વેશન(સમ્મેલન) સેન્ટર, ત્રણ મોટા પ્રદર્શની હોલ અને કોન્ફ્રેંસિંગ સુવિધા માટે નાના હોલ પણ બનાવામાં આવશે જેની પાછળ કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય સ્તરના કન્વેશન સેન્ટરમાં એક સાથે 5,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થતા ઉભી કરવામાં આવી છે. મંદિર બાંધકામના બીજા ચરણમાં એક આધુનિક પુલ, સંગ્રહાલય, મહાત્મા ગાંધી રિચર્સ સેન્ટર પુસ્તકાલય તેમજ એક વિશાળ પવનચક્કીના નિર્માણની યોજના હાથ ધરવામાં આવશે.

અત્રે જણાવવા ઈચ્છીશ કે, વર્ષ 1960 માં મુંબઈને રાજ્ય ભાષાના આધારે વિભાજિત કરવામાં આવ્યાં બાદ ગુજરાત સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવ્યું. હાલ ગુજરાત સરકારે રાજ્યની સ્વર્ણ જંયતિ મનવવા માટે વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન હાથ ધર્યું છે.