1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 1 નવેમ્બર 2021 (17:00 IST)

પટના સીરિયલ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટે સંભળાવ્યો નિર્ણય, 4 દોષીઓને ફાંસીની સજા, બે ને ઉંમરકેદ

બિહારની રાજધાની પટનાના ગાંધી મેદાનમાં વર્ષ 2013માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ(Patna Serial Blast) ના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની વિશેષ અદાલતે 4 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. બીજી બાજુ  બે દોષિઓને આજીવન કેદની સજા અને 2 દોષિઓને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય અન્ય એક આરોપીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
 
પટનાના ગાંધી મેદાનમાં  27 ઓક્ટોબર 2013ના રોજ  યોજાયેલ ભારતીય જનતા પાર્ટી (BJP)ની 'હુંકાર રેલી'ના મુખ્ય વક્તા તત્કાલિન ગુજરાતના  મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હતા. નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના નેતાઓના મંચ પર પહોંચવાના લગભગ 20 મિનિટ પહેલા મેદાનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા, જેમાં છ લોકોના મોત થયા હતા અને 90થી વધુ લોકો ઘાયલ થયા હતા. જોકે, આ વિસ્ફોટો છતાં રેલી યોજાઈ હતી અને નરેન્દ્ર મોદીએ તેને સંબોધિત પણ કરી હતી.

 
પહેલો વિસ્ફોટ પટના રેલ્વે સ્ટેશન પાસે થયો હતો, ત્યારબાદ ગાંધી મેદાન પાસે એક પછી એક વિસ્ફોટ થયો હતો. આ કેસમાં NIAએ ઘટનાના બીજા દિવસથી જ તપાસ શરૂ કરી હતી. એક વર્ષની અંદર 21 ઓગસ્ટ 2014ના રોજ NIAએ કુલ 11 આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી વર્ષ 2018માં શરૂ થઈ હતી.