શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 19 જાન્યુઆરી 2022 (10:17 IST)

Corona Update: દેશમાં અચાનક ઝડપથી વધવા માડ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં સામે આવ્યા 2.82 લાખ નવા કેસ, 441 લોકોના મોત, એક્ટિવ કેસ 18 લાખને પાર

ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 2,82,970 નવા કેસ નોંધાયા છે, જે મંગળવારે 2,38,018 હતા. એટલે કે મંગળવારની સરખામણીમાં 44,889 વધુ કેસ નોંધાયા છે. સાથે જ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કેસોની સંખ્યા વધીને 8,961 થઈ ગઈ છે. બુધવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 18,31,000 થઈ ગઈ છે, જે કુલ કેસના લગભગ 5 ટકા છે.
 
દેશમાં છેલ્લા 230 દિવસમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની આ સૌથી વધુ સંખ્યા છે. બીજી બાજુ 441 લોકોના સંક્રમણને કારણે મોત પછી મૃત્યુઆંક વધીને 4,87,202 થઈ ગયો છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર ઘટીને 94.09 ટકા થઈ ગયો છે.
 
આંકડા અનુસાર, સંક્રમણનો દૈનિક દર 14.43 ટકા અને સાપ્તાહિક દર 14.92 ટકા નોંધાયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,55,83,039 લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.29 ટકા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 1,58,88,47,554 ડોઝ આપવામાં આવ્યા છે.
 
દેશમાં સંક્રમિતોની સંખ્યા 7 ઓગસ્ટ 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખને પાર કરી ગઈ હતી. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા બે કરોડને પાર ગઈ હતી અને 23 જૂન, 2021ના રોજ, ત્રણ કરોડને પાર ગઈ હતી.
 
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. મંત્રાલયે તેની વેબસાઈટ પર કહ્યું કે તેનો ડેટા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યો છે.