1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 24 ડિસેમ્બર 2022 (08:22 IST)

મોદી સરકારે આપી નવા વર્ષની ભેટ, ડિસેમ્બર 2023 સુધી 80 કરોડ લોકોને મળશે મફત અનાજ

Modi
મોદી સરકારે નવા વર્ષ નિમિત્તે દેશના 80 કરોડથી વધુ લોકોને ભેટ આપી છે. આજે કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ વર્ષ 2023માં ચોખા, ઘઉં અને બરછટ અનાજનું વિતરણ કરવાનું ચાલુ રાખશે. પીયૂષ ગોયલે કહ્યું કે હાલમાં સરકાર ચોખા, ઘઉં અને બરછટ અનાજ પર અનુક્રમે 3, 2 અને 1 રૂપિયા પ્રતિ કિલો ચાર્જ કરે છે, પરંતુ હવે સરકારે નિર્ણય લીધો છે કે ડિસેમ્બર 2023 સુધીમાં આ અનાજ સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ થશે.
 
પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના થશે સમાપ્ત 
 
આ જાહેરાત કરતા પીયૂષ ગોયલે કહ્યું કે આ નિર્ણયથી 81.35 કરોડ લોકોને ફાયદો થશે. કેન્દ્ર સરકાર આ યોજના પાછળ દર વર્ષે લગભગ 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. ખાદ્ય મંત્રી પિયુષ ગોયલે કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે NFSA હેઠળ ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવશે. આ સાથે, સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ની અવધિ ન વધારવાનો નિર્ણય લીધો છે જે 31 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી છે.
 
 81.35 કરોડ લાભાર્થીઓને સરકાર આપી રહી છે મફત અનાજ 
 
આ યોજના હેઠળ સરકાર દ્વારા 81.35 કરોડ લાભાર્થીઓને મફત રાશન આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ આપવામાં આવતા અનાજ NFSA હેઠળ ઉપલબ્ધ સબસિડીવાળા અનાજ કરતાં અલગ છે. ખાદ્ય સુરક્ષાની બાંયધરી આપતા NFSA કાયદા હેઠળ, સરકાર દરેક પાત્ર વ્યક્તિને પ્રતિ કિલોગ્રામ બે થી ત્રણ રૂપિયાના દરે દર મહિને પાંચ કિલોગ્રામ અનાજ પ્રદાન કરે છે. બીજી તરફ અંત્યોદય અન્ન યોજના હેઠળ આવતા પરિવારોને દર મહિને 35 કિલો અનાજ મળે છે. NFS હેઠળ, ગરીબોને 3 રૂપિયા પ્રતિ કિલોના દરે ચોખા અને 2 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘઉં આપવામાં આવે છે.
 
સરકારી અધિકારીઓએ એનએફએસએ હેઠળ 81 કરોડથી વધુ લોકોને મફત રાશન આપવાના કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણયને દેશના ગરીબો માટે 'નવા વર્ષની ભેટ' તરીકે ગણાવતા  કહ્યું કે લાભાર્થીઓને હવે અનાજ માટે એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં. આના પર આવનારો લગભગ બે લાખ કરોડ રૂપિયાનો સંપૂર્ણ બોજ સરકાર ઉઠાવશે.