નિઠારી કાંડમાં નિર્દોષ જાહેર થયેલા સુરેન્દ્ર કોલીએ ફાંસો લગાવી આત્મહત્યા કરી, 2006માં ગટરમાંથી માનવ કંકાલ મળ્યા બાદ થયો હતો ઝડપાયો
દેશભરમાં ચર્ચિત નિઠારી કાંડ સાથે જોડાયેલા સુરેન્દ્ર કોલીનું હરિદ્વારમાં સંદિગ્ધ સંજોગોમાં મોત થયું છે. તેનો મૃતદેહ ઉત્તર હરિદ્વારના સપ્ત સરોવર વિસ્તારમાં લાલમાતા મંદિરની સામે આવેલી એક ચાની દુકાનમાંથી મળી આવ્યો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે અલ્મોડા ખાતે રહેતા તેના પરિવારજનોને પણ ઘટનાની જાણ કરી હતી.
ચાની દુકાનમાં મૃત હાલતમાં મળ્યો સુરેન્દ્ર કોલી
પોલીસના જણાવ્યા અનુસાર, શહેર કોતવાલીની સપ્ત ઋષિ પોલીસ ચોકીને માહિતી મળી હતી કે સપ્ત સરોવર રોડ પર આવેલી એક ચાની દુકાનમાં એક વ્યક્તિ મૃત હાલતમાં પડ્યો છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મૃતકની ઓળખ સુરેન્દ્ર કોલી, રહેવાસી ગામ મંગરૂખાલ, ભિકિયાસૈણ, અલ્મોડા તરીકે થઈ હતી.
હરિદ્વારમાં ચાની દુકાન ચલાવતો હતો કોલી
મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્ર કોલી છેલ્લા કેટલાક સમયથી હરિદ્વારમાં રહેતો હતો અને ભાડે ચાની લારી લઈને વ્યવસાય કરતો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને દુકાનમાંથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પોલીસનું કહેવું છે કે મોતનું ચોક્કસ કારણ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
તમામ પાસાંથી તપાસ કરી રહી છે પોલીસ
શહેર કોતવાલ કુન્દન સિંહ રાણાએ જણાવ્યું કે મૃતકની ઓળખ સુરેન્દ્ર કોલી તરીકે થઈ છે, જે નિઠારી કેસમાં આરોપી રહી ચૂક્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવાની સાથે આસપાસના લોકો પાસેથી પણ માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું છે. સમગ્ર મામલાની તમામ પાસાંથી તપાસ કરવામાં આવી રહી છે.
2025માં સુપ્રીમ કોર્ટે તમામ કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો
સુરેન્દ્ર કોલીનું નામ વર્ષ 2006માં સામે આવેલા નિઠારી હત્યાકાંડ સાથે જોડાયું હતું. લાંબા સમય સુધી ચાલેલા કેસોમાં તેને અનેક મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જોકે બાદમાં અલ્હાબાદ હાઈકોર્ટે અનેક કેસોમાં તેને નિર્દોષ જાહેર કર્યો હતો.
જુલાઈ 2025માં સુપ્રીમ કોર્ટે પણ તેની સામેના 12 કેસમાં તેને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને યથાવત રાખ્યો હતો. ત્યારબાદ નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે બાકી રહેલા અંતિમ કેસમાં પણ તેની સજા રદ કરીને તેને નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે તેને તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
શું હતો નિઠારી કાંડ?
નિઠારી કાંડ વર્ષ 2005-2006 દરમિયાન નોઈડાના નિઠારી ગામમાં બાળકો અને યુવતીઓના ગુમ થવા તથા હત્યાઓ સાથે જોડાયેલો સિરિયલ મર્ડર કેસ હતો. આ સમયગાળા દરમિયાન નિઠારી ગામમાંથી અનેક બાળકો અચાનક ગુમ થઈ ગયા હતા.
બાદમાં મોનિન્દર સિંહ પંઢેરની સેક્ટર-31 સ્થિત કોઠીની પાછળ આવેલા ગટરમાંથી અનેક માનવ કંકાલ અને હાડકાં મળી આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી. આ જ કેસમાં પંઢેરના ઘરે નોકરી કરતો સુરેન્દ્ર કોલી પણ આરોપી હતો, જોકે બાદમાં સુપ્રીમ કોર્ટે તેને તમામ કેસોમાં નિર્દોષ જાહેર કર્યો હતો.
