શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (11:09 IST)

હાર્દિક પટેલ બોલ્યા, 'હુ ગુજરાતમાં બીજેપીને ખતમ કરી દઈશ'

પાટીદાર સમુહ માટે અનામતની માંગ કરનારા હાર્દિક પટેલનો દાવો છે કે તે વર્ષ 2017માં ગુજરાતના રાજનૈતિક સમીકરણ બદલી નાખશે.  23 વર્ષીય હાર્દિક પર રાજદ્રોહનો આરોપ છે. ભગતસિંહને પોતાનો હીરો માનનારા હાર્દિક પૂર્ણ આઝાદીમાં વિશ્વાસ રાખે છે. અનામતના મુદ્દા પર તેઓ કહે છે કે, "નથી આ ખોટુ છે કે હુ એસસી, એસટી અને ઓબીસી અનામત વિરુદ્ધ છુ. હુ માનુ છુ કે દેશના વિકાસ માટે અનામત જરૂરી છે." 
 
હાર્દિક પટેલની ઉંમર ભલે 23 વર્ષની જ હોય પરંતુ તેઓ ઘણા સ્પષ્ટ છે. એવુ લાગે છે કે તેઓ જનતાની નાડ પારખે છે. તેઓ 2017માં ગુજરાતના રાજકીય સમીકરણો બદલવા માંગે છે. હાર્દિક પટેલ કહે છે કે નરેન્દ્ર મોદી અને તેની સરકાર મારાથી ડરી ગઇ છે. મોદીજી અને અમિત શાહથી અલગ મારી પાસે છુપાવવા કે ડરવા માટે કશુ નથી. તમે કોઇની ઉપર રાજદ્રોહનો આરોપ લગાવવાથી વધુ ખરાબ કરી શકો તેમ નથી. તેઓ પહેલા પણ રાજદ્રોહનો આરોપ લગાવી ચુકયા છે અને ૯ મહિના મને જેલમાં પણ મોકલી ચુકયા છે.
 
   અમદાવાદ મીરરના દિપલ ત્રિવેદીને આપેલી મુલાકાતમાં હાર્દિક પટેલ અહીથી જ અટકતા નથી. તેઓ કહે છે કે આ બધાથી હું વધુ મજબુત બન્યો છે અને મારા ઇરાદાઓને વધુ બળ મળ્યુ છે. મારી પાસે જનતા છે, યુવાનો છે અને મારી ઉંમર મારી સાથે છે. આનાથી વધુ તેઓ શું કરી શકે છે. ચાર કલાક સુધીની મુલાકાતમાં હાર્દિક પટેલ પોતાના લક્ષ્યાંકને લઇને દ્રઢ અને સ્પષ્ટ લાગ્યા. પાટીદારોને અનામત આપીને જ ઝંપવાનો તેમનો નિર્ધાર છે. પાટીદાર સમુદાય સૌથી વધુ પ્રભાવશાળી સમુદાય છે. જયારે તેમને પુછાયુ કે, સૌથી વધુ પ્રભુત્વવાળા સમુદાય માટે અનામતની માંગ શા માટે કરો છો ? તો એ બાબતે કોઇપણનું નામ લીધા વગર હાર્દિકે કહ્યુ હતુ કે, આ ગેરસમજ છે. ગારીયાધાર કે અમરેલી જાવ પાંચ પટેલ અમીર હોય તો એનો અર્થ એ નથી કે સમગ્ર રાજયમાં પાટીદારોની સ્થિતિ સારી છે. જો અમેરિકા જેવા રાષ્ટ્ર આ મુદે સકારાત્મક વલણ અપનાવી શકે તો ભારત કેમ નહી ? હું કોઇ ભીખ નથી માંગતો, હું માત્ર સરકારી નોકરીઓ અને પ્રવેશમાં પાટીદારોને સમાન તકની માંગણીઓ કરી રહ્યો છુ.
 
   હાર્દિક પટેલે કહ્યુ હતુ કે, ભાજપ જનતાના પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરી રહેલ છે. મારા પરિવારે પણ ભાજપને જીતાડવા ઘણી મહેનત કરી હતી પરંતુ ભાજપ એવા લોકોને જ ભુલી ગયુ જેમણે તેને સતા અપાવવા મહેનત કરી હતી. ભાજપ હવે અમારૂ પ્રતિનિધિત્વ નથી કરતુ. બજેટ અંગે પણ હાર્દિક પટેલે નાણા મંત્રી અરૂણ જેટલી ઉપર પ્રહાર કર્યો હતો અને કહ્યુ હતુ કે, આખરે આ બજેટ કોના માટે છે ? જેટલી કહે છે કે આ લોકોનુ બજેટ છે. જો આ લોકોનુ બજેટ હોય તો એવી ભાષામાં કેમ કે જેને ૯૭ ટકા લોકો નથી સમજતા. દેશના લોકો માટે બજેટ હોય તો દેશની ભાષામાં શા માટે નહી ? હાર્દિક પટેલે ભાજપના વિજયને કોંગ્રેસની નિષ્ફળતાનુ ફળ ગણાવ્યુ હતુ. હાર્દિકે કહ્યુ હતુ કે, જો કોંગ્રેસ યુવાનોના સપના ઉપર ખરી ઉતરી હોત તો ભાજપને વિજય મળી શકત નહી. હવે ભાજપનો દેખાવ જોજો. બધાને શિક્ષણ આપવાના નામ પર ભાજપ આ ક્ષેત્રમાં પણ નફો કમાવવા માટેની વિચારધારાને આગળ ધપાવી રહી છે. ખેડુતો માટે જવાનો માટે ભાજપે શું કર્યુ ? આપણા ભાઇઓ સરહદે લડી રહ્યા છે, પરંતુ તેમને ગુણવતાવાળુ ખાવાનુ પણ નથી મળતુ.
 
   આજે યુવાનો શિક્ષણની ગુણવતાની ફરિયાદ કરી રહ્યા છે લોકોને રોજગાર મળતા નથી તો ભાજપ સરકાર શું કરે છે ? ભાજપ મહિલા વિરોધી છે. જયારે કેન્દ્રમાં યુપીએનુ શાસન હતુ ત્યારે ભાજપે દિલ્હીના નિર્ભયા કેસને ચગાવ્યો હતો. હવે સમગ્ર ગુજરાતમાં નિર્ભયા જેવા કેસો થઇ રહ્યા છે. તાજેતરમાં સૌરાષ્ટ્રમાં શું થયુ ? ભાજપ શા માટે એ લોકોનો અવાજ નથી ઉઠાવતુ ?
 
 હાર્દિકે બીજેપીની જીતને કોંગ્રેસની નિષ્ફળતાનુ પરિણામ બતાવ્યુ. તેમણે કહ્યુ જો કોંગ્રેસ યુવાઓના સપના સાકાર કરવામાં ખરી ઉતરતી તો બીજેપી જીતી શકત નહી.   આપ કે કોંગ્રેસ જોડાશો એ વિશે હાર્દિક પટેલ કોઇ ફોડ પાડતા નથી કે પછી સ્વતંત્ર લડાઇ લડીને અથવા તો નીતિશ કે અખિલેશનો ટેકો લેવા અંગે પણ મૌન રહે છે. તેઓ માત્ર એટલુ જ કહે છે કે થોભો અને રાહ જુઓ પણ એક વાત જરૂર કહે છે કે, એક બાબત સ્પષ્ટ છે કે હું ગુજરાતમાંથી ભાજપનો સફાયો કરી દઇશ. અમે પટેલોએ ગુજરાતમાં ભાજપને સત્તા અપાવી છે. હવે અમારે તેઓને ધુળ ચાટતા કરી દેવાના છે. ગુજરાતની ભુમીના એક પુત્ર તરીકે હું ગુજરાતને આ વચન આપુ છું.