1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 નવેમ્બર 2021 (16:39 IST)

રાજ્યની જેલોમાં રહેલા 61 મહિલા કેદીઓ સહિત 60થી વઘુ વર્ષના 120 પુરૂષ કેદીઓને ઘરે દિવાળી ઉજવવા 15 દિવસના પેરોલ મળશે

ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા કેદીઓને પેરોલનો લાભ નહીં મળે

ગુજરાતની જેલોમાં વિવિધ ગુનાઓ હેઠળ સજા ભોગવી રહેલા કેદીઓ પરિવાર સાથે દિવાળી ઉજવી શકે તે માટે 15 દિવસના પેરોલ પર મુક્ત કરાશે. જેમાં 61 મહિલા અને 120 પુરૂષ કેદીઓ થઈને કુલ 181 કેદીઓને 15 દિવસ માટે જેલ મુક્તિનો લાભ મળશે. આ કેદીઓમાં ગંભીર ગુનાઓ સિવાયના કેદીઓને સરકાર શરતો પ્રમાણે જેલમુક્ત કરશે. 
 
જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ યોજના પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ તેમના પરિવારજનો સાથે ખુશાલીથી તહેવારો ઉજવી શકે તે માટે રાજ્યની તમામ જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા તમામ મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને  ધનતેરસથી પંદર દિવસ માટે નિયમાનુસાર શરતો, જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. 
 
ગંભીર ગુના હેઠળના કેદીઓને પેરોલ નહીં મળે
રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા 61 મહિલા કેદીઓ તેમજ 60 વર્ષથી વધુની વયના અંદાજે 120 પુરૂષ કેદીઓ સહિત કુલ 181 લોકોને પરિવાર સાથે દિવાળી ઉજવવાનો લાભ મળશે. આ નિર્ણયનો લાભ કેટલાક ચોક્કસ પ્રકારના ગંભીર ગુના હેઠળના કેદીઓને મળવાપાત્ર થશે નહિ. આવા ગુનાઓમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળના ગુનાવાળા કેદીઓ, ટાડા તથા પોટા હેઠળના ગુનાવાળા કેદીઓ, હાઇકોર્ટમાં અપીલ કરી હોય તેવા કેદીઓ, એન.આર.આઇ. કેદીઓ, વિદેશી કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ કેદીઓ, સમાજ વિરોધી ગુનાના કેદીઓ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.