ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 માર્ચ 2022 (15:10 IST)

ગાંધીનગરના પાલજમાં 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવાની સદીઓથી ચાલતી પરંપરા આજે પણ અકબંધ છે

ગાંધીનગર પાસે આવેલા પાલજ ગામે રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવીને હોળીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. આ હોળીના આધારે વર્ષનો વરતારો કરવામાં આવે છે. પાલજ ગામે યોજાતી હોળીની તૈયારીઓ 15 દિવસ પહેલાંથી કરવામાં આવે છે. જેમાં ગામના 80 જેટલા યુવાનો વગડાઓમાંથી લાકડા લાવે છે અને 35 ફૂટ જેટલો ઊંચો લાકડાનો ખડકલો કરી હોળી તૈયાર કરે છે.


જ્યારે અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે.હોળી પર્વનું નામ આવે કે તરત જ આપણા માનસપટ પર અવનવા રંગબેરંગી રંગો સામે આવી જાય છે. હોળી પ્રાગટ્યની અનોખી આ પરંપરાને નીહાળવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો પાલજ ગામે આવતા હોય છે. અસત્ય પર સત્યના વિજયને સાર્થક કરતી હોલીકા દહનની ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલી પૌરાણીક કથા દર વર્ષે ફાગણી સુદ પૂનમે પ્રગટાવવામાં આવતી હોળીની પરંપરા સાથે સંકળાયેલી છે.

પાલજ ગામે ફાગણી સુદ પૂનમને હોળીના દિવસે પ્રગટાવવામાં આવતી હોળીનું વિશેષ મહત્ત્વ છે. હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. જે લોકો અંગારા પર ચાલે તેની મનોકામના માતાજી પરિપૂર્ણ કરશે તેવો સૌ કોઇને અહીંયા વિશ્વાસ વ્યક્ત કરે છે. નવાઇની વાત એ છે કે, ધગધગતા અંગારાઓ પર બાળકોથી માંડીને મોટેરાઓ સૌ કોઇ ઉઘાડા પગે ચાલી નીકળતા હોવા છતાં તેઓ દાઝતા હોતા નથી. આ બાબત આ ગામના લોકો માટે શ્રદ્ધા અને તેઓના વડવાઓના સમયથી ચાલી આવતી એક પરંપરા હોવાનું કહેવાય છે.આ દિવસે ગામે ગામ અને શહેરોમાં હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. અને તેની પ્રદક્ષિણા કરીને પૂજા કરાતી હોય છે. પાલજ ગામે હોલીકા દહન વખતે અંગારાઓ પર ચાલવાની પ્રથા છે.હોળીના 15 દિવસ પહેલાંથી તેની તૈયારીઓ આરંભી દેવાય છે. ગામના યુવાનો વગડાઓમાંથી લાકડા લાવે છે અને આશરે 35 ફૂટ ઊંચો લાકડાનો ઢગલો એક જગ્યાએ કરે છે. હોળીને પ્રગટાવવા માટે ગ્રામજનો કેરી, મહુડો અને રાયસના ડોડાનો હાર બનાવીને લાવે છે. તે બાજરીના સાંઠાઓમાં પરોવીને તેને હોળીમાં હોમાય છે અંગારાઓ પર સૌપ્રથમ મહાકાળી માતાના મંદિરના પૂજારી ચાલે છે અને તેમની પાછળ 'જય મહાકાળી'ના નાદ સાથે ભક્તો ચાલે છે.પાલજ ખાતે ઉજવાતી હોળીના દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. હોળી પ્રાગટયની આ અનોખી પરંપરાને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી લોકો પાલજ ગામે આવે છે. ગ્રામજનો આ પરંપરા વિશે કહે છે કે, ગામમાં મહાકાળી માતાજીનું મંદિર છે. તેના સતના કારણે અંગારા પર ચાલવા છતાં આજ સુધી એકેય શ્રદ્ધાળુને સામાન્ય ઇજા પણ થવા પામી નથી. અહીં હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવાય છે. તે પહેલાં ગ્રામજનોને એકત્ર કરવા માટે સાદ દેવાય છે. પાંચેક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં તે દિવસે ઘેરઘેર લાડવા બનાવીને ઉજાણી થાય છે.