રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (16:27 IST)

અમદાવાદથી રાજકોટ ઈન્કમટેક્સના સર્વે માટે જઈ રહેલી ટીમને સુરેન્દ્રનગર પાસે અકસ્માત નડ્યો, 11 કર્મચારીઓ ઈજાગ્રસ્ત

અમદાવાદથી રાજકોટ ઈન્કમટેક્સના સર્વે માટે જઈ રહેલી ટીમના વાહનનો સુરેન્દ્રનગરના સોમાસર પાસે અકસ્માત સર્જાતા 11 કર્મચારીઓને ઈજા પહોંચી છે. ઘાયલ કર્મચારીઓને પ્રાથમિક સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામા આવ્યા છે, જ્યાંથી કેટલાક કર્મચારીઓને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામા આવ્યા છે. ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા વાહન ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.આજે વહેલી સવારે અમદાવાદથી રાજકોટ તરફ ઈન્કમટેક્સના સર્વે માટે અધિકારીઓ જઈ રહ્યા હતા. તે સમયે સુરેન્દ્રનગરના સોમાસર પાસે ગાડીના સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા ગાડી ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી.આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ગાડીમાં સવાર 6 મહિલાઓ સહિત 11 કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મહિલાઓ સહિતના તમામ ઇજાગ્રસ્ત ઇન્કમટેક્સ કર્મચારીઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી હાઇવે પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.આ ઘટનાની જાણ થતાં આજુબાજુમાંથી લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગરની પોલીસ ટીમે તમામ ઇજાગ્રસ્તોને અમદાવાદ હોસ્પિટલમાં રીફર કરવા માટે મદદ હાથ ધરવાની સાથે ટ્રાફિકજામ દૂર કરી ટ્રાફિક પુન: ધમધમતો કર્યો હતો. આ ઘટના અંગે સુરેન્દ્રનગર પોલિસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.