1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (14:36 IST)

ગુજરાતમાં આત્મા યોજના અંતર્ગત કામ કરતાં કરાર આધારીત કર્મચારીઓના પગારમાં 10 ટકા ઈન્ક્રિમેન્ટ મંજુર

Approval of 10% increment in salary of contract employees working under Atma Yojana in Gujarat
બ્લોક ટેકનોલોજી મેનેજરને 30 હજાર, આસીસ્ટન્ટ ટેકનોલજી મેનેજરને 20 હજાર માસિક પગાર ચૂકવાશે 
 
ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત “સપોર્ટ ટુ સ્ટેટ એક્સ્ટેન્શન પ્રોગ્રામ ફોર એક્સ્ટેન્શન રીફોર્મ (આત્મા) યોજના અંતર્ગત કામ કરતાં કરાર આધારિત કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ઉન્નતિ યોજના અંતર્ગત સબ-મિશન ઓન એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન હેઠળ આત્મા યોજનાની મોડીફાઈડ ગાઈડલાઈન-2018 મંજુર કરીને રાજ્યોને આત્માની રિવાઈઝડ ગાઈડલાઈન-2018 પ્રમાણે અમલીકરણ કરવા જણાવાયું છે.
 
કર્મચારીઓના પગારમાં 10 ટકા ઈન્ક્રિમેન્ટ મંજુર કરાયું
મંત્રી રાઘવજીભાઈએ ઉમેર્યું કે, ખેડુત મિત્રના કન્ટીજંસી ખર્ચમાં 6 હજારના બદલે 12 હજાર, વાર્ષિક તેમજ બ્લોક ટેકનોલોજી મેનેજરના માનદવેતનમાં 25 હજારના બદલે 30 હજાર અને આસીસ્ટન્ટ ટેકનોલજી મેનેજરના માનદ વેતનમાં 15 હજારના બદલે 20 હજાર રૂપિયા માસિક વેતન ચૂકવવાનો નિર્ણય કરાયો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત માનવબળ માટે 10 ટકા ઇન્ક્રીમેન્ટની જોગવાઇ કરવામાં આવેલ છે. જેને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત જગ્યાઓ પર કામ કરતા કર્મચારીઓના પગારમાં ઘણા વર્ષથી પડતર 10 ટકા ઇજાફાને મંજુર કરવામાં આવ્યો છે.
 
આત્મા યોજના પ્રાયોગિક ધોરણે 2005માં અમલમાં આવી હતી
તેમણે ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા સંચાલિત એગ્રીકલચર ટેકનોલજી મેનેજમેન્ટ એજન્સી(આત્મા) ગુજરાત રાજયમાં પ્રાયોગિક ધોરણે 2005માં અમલમાં આવી હતી. આ યોજનાનું મુખ્ય કાર્ય જીલ્લાની તમામ કૃષિ વિષયક સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું સંકલન કરવાનું છે. ‘આત્‍મા’ યોજના હેઠળ જીલ્‍લાના તમામ ખેડૂતો માટે તેમની જરૂરિયાત આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગ્રામ્‍ય કક્ષાએ જાહેર સંસ્‍થાઓ, ખાનગી સંસ્‍થાઓ, એનજીઓ, પેરા એકસ્‍ટેન્‍શન વર્કર અને પ્રાઈવેટ ઈનપુટ ડીલરના સહિયારા પ્રયત્‍નોથી રસ ધરાવતા ખેડૂતોના જૂથો (ફાર્મર્સ ઈન્‍ટરેસ્‍ટ ગૃપ્‍સ)ની રચના કરવી એ પાયાની પ્રવૃત્તિ છે.