1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (11:12 IST)

આજથી બેંક કર્મચારીઓની બે દિવસની હડતાળ શરૂ, અમદાવાદમાં લાલદરવાજા ખાતે કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી રેલી યોજી

ગુજરાતના બેંક કર્મચારીઓ આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યાં છે. 16 અને 17 ડિસેમ્બરના રોજ રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ કેન્દ્ર સરકારના બેંક મર્જર કરવાના નિર્ણય સામે તેમજ ભારત સરકારના બેંકિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારા બાબતે વિરોધ કરવા રેલી યોજી હતી અને સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદમાં લાલદરવાજા ખાતે બેંકના કર્મચારીઓએ દેખાવો કર્યાં હતાં.16 અને 17 ડિસેમ્બરના રોજ દેશ અને રાજ્યની તમામ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ અધિકારીઓ હડતાળ પાડી પોતાની કામગીરીથી દૂર રહેશે. કારણકે કે કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં બેન્કિંગ સેક્ટરમાં એક મહત્ત્વનો સુધારો કરવા જઈ રહી છે. જેમાં બેન્કિંગ રેગ્યુલેશન એકટમાં રાષ્ટ્રીયકૃત બેન્કમાં સરકારી મૂડી 51% થી ઘટાડી રહી છે. જેના કારણે બેંકોનું સંચાલન ખાનગી માલિકી થઈ જવાની આશંકા બેંક યુનિયન વ્યક્ત કરી રહ્યું છે. આ મામલે લાલ દરવાજા ખાતે બેંકના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે. કેન્દ્ર સરકાર નવી 2 બેંકોનું મર્જર કરવા જઈ રહી છે. જોકે હાલ આ બેંકોના નામ જાહેર નથી કરવામાં આવ્યા. તેની સામે પણ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી રાજ્યભરની રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ 2 દિવસની હડતાળ પાળશે. બે દિવસની હડતાળના કારણે 20 હજાર કરોડના ટ્રાન્ઝેક્શનને અસર પડશે. આ હડતાળમાં 4800 રાષ્ટ્રીયકૃત બેંકના કુલ 70 હજાર જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. જ્યારે દેશની 108000 શાખાના કર્મચારીઓ કામકાજથી અળગા રહેશે.