શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 6 ઑક્ટોબર 2021 (01:49 IST)

જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 86 વર્ષની વયે અવસાન, ધારાવાહીક રામાયણમાં રાવણનુ પાત્ર ભજવીને થયા હતા પ્રચલિત

રામાયણમાં ‘લંકેશ’ (Lankesh) નુ પાત્ર ભજવાનારા અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) નુ અવસાન થયાના સમાચાર છે. અરવિંદ ત્રિવેદી 86 વર્ષની વયના હતા. તેઓએ મુંબઇના કાંદિવલી સ્થિત તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. 
 
8 મી નવેમ્બર 1938 માં ઇંદોરમાં જન્મેલા અરવિંદ ત્રિવેદીનુ મૂળ વતન ઇડર નજીકનુ કુકડીયા ગામ છે. તેઓએ મુંબઇની ભવન્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. અરવિંદ ત્રિવેદીને ત્રણ પુત્રીઓ હતી અને તેઓે ના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ તરીકે જાણતા હતા. રામાયણમાં તેમના અટ્ટહાસ્યને લઇને તેઓ રાવણના પાત્ર તરીકે પંસદ કરવામાં આવ્યા હતા. તેઓએ તેમના અટ્ટ હાસ્ય વડે રાવણના તિરસ્કારજનક પાત્રની ભૂમીકાના અભિનયને લઇ તેઓ ખૂબ જ પ્રચલિત બન્યા હતા અને લોકોના મનમાં રાવણની છબીને અંકિત કરી હતી. રાવણનુ પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી ખરેખર રામ ભક્ત હતા.  તેમના ઇડર સ્થિત નિવાસ સ્થાને પોતાના જ ઘરમાં જ ભગવાન શ્રી રામની સાડા ચાર ફુંટ ઉંચી રામજીની પ્રતિમા પૂજ્ય મોરારી બાપુના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. જેની તેઓ નિયમિત પૂજા અર્ચના કરતા હતા.

શ્રી અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા હતા. એમણે મુખ્ય નાયક, ખલનાયક અને સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે 250થી વધુ ગુજરાતી  અને હિંદી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમના ભાઈ અને અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમનુ કેરિયર 40થી વધુ વર્ષોમાં પથરાયેલો હતો. તેમણે જાણીતી હિંદી ટીવી સીરિયલ રામાયણમાં લંકેશનુ પાત્ર ભજવીને ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે વિક્રમ વેતાળ સીરિયલમાં પણ કામ કર્યુ.  તેમને રાજનીતિમાં પણ ઝંપલાવ્યુ હતુ અને 1991માં તેઓ સાબરકાંઠા જીલ્લામાંથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા અને 1996 સુધી આ પદ પર રહ્યા હતા. 2002માં તેઓ ભારતીય સેન્સર બોર્ડના કાર્યકારી ચેરમેન તરીકે જાહેર કરાયા હતા. 
 
અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મ્સમાં કામ કર્યું છે. ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મ્સ દ્વારા તેઓને 
ગુજરાતમાં એક અલગ ઓળખાણ મળી હતી. અરવિંદ ત્રિવેદીએ 'સંતુરંગીલી', 'હોથલ પદમણી','કુંવર બાઇનું મામેરૂં', 'જેસલ-તોરલ' અને 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' જેવી અનેક સફળ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. અરવિંદ ત્રિવેદીએ 'પરાયા ધન','આજ કી તાજા ખબર' જેવી હિન્દી ફિલ્મ્સમાં પણ અભિનય કર્યો છે.
 
ગુજરાત સરકારથી લઇને દેશ અને દુનિયાની અનેક સંસ્થાઓ તેમને પુરસ્કારો આપીને સન્માનિત કર્યાં છે. 'રામાયણ'નાં આ ખલનાયકે ઘણી ફિલ્મ્સમાં નાયકની પણ ભૂમિકાઓ કરી છે. ગુજરાતી અને હિન્દી ફિલ્મ્સમાં સફળ રહેલાં અરવિંદ હાલ અનેક સામાજિક કાર્ય કરનારી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. 'રામાયણ'નાં આ ખલનાયક રિયલ લાઇફમાં નાયક છે.