શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (12:11 IST)

ખોટા પ્રમાણપત્રોના આધારે 10 હજાર ભરતી કરાઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પશુધન નિરીક્ષક વર્ગ-3, ગ્રામ સેવક, કૃષિ યુનિવર્સિટીની ભરતીમાં 10 હજાર જગ્યા ખોટી માર્કશીટ અને ખોટાં પ્રમાણપત્રોના આધારે ભરાઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશીએ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, કૌભાંડથી સરકાર વાકેફ છે. ભાજપના જ એક યુવા નેતા દ્વારા સમગ્ર કૌભાંડ ચલાવાતું હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય બહારની યુનિવર્સિટીનાં પ્રમાણપત્રોનો રૂ. 40 હજારથી એક લાખ સુધીની કિંમતમાં વેપાર ચાલે છે. આવા સંજોગોમાં આરોગ્ય વિભાગને સમગ્ર બાબતથી વાકેફ થતાં 2012થી 2018 સુધી ફીમેલ હેલ્થ વર્કરની 3828 અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 2330 ખાલી જગ્યા ભરાઈ હતી. આ ભરતીમાં બોગસ માર્કશીટ, પ્રમાણપત્રો આપ્યા પછી નોકરી મેળવનારની તપાસ પણ કરાઈ હતી. ક્યાં ક્યાં ભરતી કૌભાંડ થયું? મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જામનગરમાં 2017માં, દાહોદમાં 2018માં, અરવલ્લી, નમર્દા, બનાસકાંઠા, કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, મહિસાગરમાં ભરતી બોગસ સર્ટિફિકેટના આધારે થઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તાએ કર્યો છે. તેમણે કહ્યું કે, એલઆરડી, એમપીએચડબ્લ્યુ, વિદ્યા સહાયક, નર્સિંગ, તલાટી, સચિવાલય ક્લાર્ક, પશુધન નિરીક્ષક અંગે સરકાર સમક્ષ વિસ્તૃત ફરિયાદ છતાં કોઈ પગલાં ભરાતાં નથી. રાજસ્થાનની ઓપીજે યુનિવર્સિટી સહિત બે યુનિવર્સિટી, તામિલનાડુની વિનાયક મિશન યુનિવર્સિટી ઉપરાંત હિમાચલની એક યુનિવર્સિટી અમાન્ય હોવા છતાં તેના આધારે નોકરી આપવામાં આવી છે. આ યુનિવર્સિટીઓ યુજીસી માન્ય નથી. આમ છતાં તેનાં પ્રમાણપત્રને માન્ય ગણવામાં આવ્યાં છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.