શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (14:54 IST)

ગુજરાતમાં આગામી 21 સપ્ટેમ્બરથી શાળાઓ નહીં ખુલે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી

રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર વતી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી.કોરોના વાયરસનાં  વધતા સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા માટે મહત્તવના સમાચાર આવ્યાં છે. ગુજરાત સરકાર  ના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ  શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે. આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.  નોંધનીય છે કે, આ પહેલા રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોનાના કેસ નોંધતા ગુજરાતની તમામ શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડીયા માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.ત્યાર બાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ વેકેશન લંબાવવામાં આવ્યું હતું. બોર્ડ સિવાયનાં તમામ ધોરણોનાં બાળકોને આગળનાં ધોરણમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આમ લગભગ 6 મહિનાથી સ્કૂલો વિદ્યાર્થીઓ માટે બંધ છે પરંતુ ઓનલાઇન ભણતર ચાલુ છે.દરમિયાન અનલૉકની નવી ગાઇડલાઇનમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની શરતોને આધીન મંજૂરી આપી હતી. જેમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો વિમર્શ માટે બોલાવી શકશે. તેમજ ઓનલાઇન એજ્યુકેશન માટે પણ શાળાઓ 50 ટકા સ્ટાફ બોલાવી શકશે. પરંતુ આજે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ ન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ ગઈકાલે થયેલી શૈક્ષણિક મહાસંઘની મીટિંગમાં શાળા ખોલવા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, દિવાળી સુધી રાજ્યની શાળાઓ ખુલશે નહીં. દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિને જોઇને જ શાળા શરૂ કરવા સરકારે વિચારણા કરી હતી. જોકે, શાળાઓ ક્યારથી શરૂ કરવી તેના અંગે કોઈ દિશા નિર્દેશ આપવામાં આવ્યો નથી.