ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ઑગસ્ટ 2022 (16:59 IST)

ગુજરાતમાં અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, આ વિસ્તારોમાં લોકોને કરાયા એલર્ટ

આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં પણ આગામી 3 કલાક ગુજરાત માટે ભારે છે. હવામાન વિભાગે લોકોને ચેતવી દીધા છે. બનાસકાંઠા, કચ્છ અને પાટણના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે ગુજરાતીઓએ આગામી 3 કલાક સાવચેતી રાખવાની જરૂર છે. તો બીજી તરફ, વરસાદના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 4 કલાકમાં 163 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં સાડા પાંચ ઈંચ, તો પાલનપુર-સૂઈગામમાં 3-3 વરસાદ વરસ્યો છે. 
 
મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાને તાકીદે જાણ કરાઈ છે. 7 જિલ્લાના કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. હાલ ડેમની જળ સપાટી 617.15 ફુટે પહોંચી છે, હાલ ડેમમાં 81.81  ટકા પાણીનો જથ્થો છે. ત્યારે હજુ પણ ડેમમાં પાણીનો જથ્થો વધવાની શક્યતાની છે. હાલ ડેમમાં પ્રતિ સેકન્ડ 1 લાખ 12 હજાર 33 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 
 
પાલનપુરમાં ધોધમાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે પાલનપુરનો ગણેશપુરા આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો છે. નીચાણવાળા ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ઈકબાલ ગઢ ગામમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલ ઘર પાણીમાં ડૂબ્યા છે. નાળીવાસ વિસ્તારના મોટા ભાગના ઘરો પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.  જિલ્લામાં હજુ ભારે વરસાદની શક્યતાના પગલે તંત્ર એલર્ટ છે. 
 
તો બીજી તરફ, દેવ અને નર્મદા ડેમમાંથી પાણી વડોદરાના 19 ગામ એલર્ટ પર મૂકાયા છે. ડેમમાં પાણી છોડાતા ડભોઈના ગામના લોકોની ચિંતા વધી છે. દેવ ડેમમાંથી ગત મોડી રાત્રે 2894 ક્યૂસેક પાણી છોડાયું છે. આવામાં યાત્રાધામ ચાંદોદના મહાલરાવ ઘાટના 108 માંથી 17 પગથિયા બાકી રહ્યાં છે. નર્મદા કાંઠા વિસ્તારના પણ 7 ગામને એલર્ટ કરાયા છે. સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર બની છે. દંગીવાળા, નારણપુરા, અમરેશ્વર, બનૈયા, પ્રયાગપુરા, અંગુઠણ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. 
 
ગુજરાતમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે-48 પર વાહનોની અવરજવરને પણ અસર થઈ છે. ગુજરાતમાં મંગળવારે ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે. વરસાદના કારણે રસ્તાઓ અને ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારથી સુરત શહેરમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓના જળસ્તર પણ વધવા લાગ્યા છે. લિંબાયતમાં પણ ભારે પાણીનો ભરાવો થયો છે. બંધ દરવાજાના કારણે રાંદેરના મોરા ભાગલ વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે.
 
સાણીયા હેમાડાવ ગામમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પુણાગામ વિસ્તારમાં ગટર ઉભરાઈ રહી છે. મંગળવાર સવાર સુધીમાં પલસાણા તાલુકામાં 24 કલાકમાં 228 મીમી જ્યારે બારડોલીમાં 177 મીમી વરસાદ નોંધાયો છે. રાંદેરમાં વૃક્ષ પડતાં કાર અને રિક્ષા સામસામે અથડાયા છે. સુરત જિલ્લા કલેક્ટરે પાણીના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને રહેવાસીઓને જળાશયોમાં ન જવા ચેતવણી આપી છે. પલસાણાના બલેશ્વરમાં 50 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
 
વલસાડમાં બપોર બાદ ઔરંગા નદીના કિનારે આવેલા કાશ્મીરા નગરમાં પાણી ઘુસવા લાગ્યા છે. વલસાડ કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીમાં પાણીના સ્તરમાં વધારો થવાની સંભાવના સામે ચેતવણી આપી છે. મંગળવાર સાંજથી દમણ ગંગા નદીમાં મધુબન ડેમમાંથી લગભગ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વાપીમાં ભારે વરસાદને કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનો અટવાઈ ગયા છે