શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (10:09 IST)

ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતો આંદોલનના મૂડમાં

ભરૂચ જિલ્લામાં રેલવેના ફ્રેઈટ કોરીડોર માટે સંપાદિત થયેલી જમીનના વળતરમાં ખુબ વિસંગતતા હોવાથી ભરુચ જિલ્લાના ખેડૂતોમાં વિરોધના શૂર ઉઠ્યાં છે. જેથી આગામી દિવસમાં આંદોલનમાં પરિણમે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. દેરોલ તેમજ ટંકારિયા મુકામે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં પીડિત ખેડૂતોએ હાજરી પુરાવીને સંગઠિત હોવાનો મેસેજ આપ્યો છે. જેને લઈને આગામી દિવસોમાં ભરુચ જિલ્લામાં ખેડૂતોનું આંદોલનની શક્યતા પ્રબળ બની છે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન રેલવે ફ્રેઈટ કોરીડોર માટે વર્ષ 2009માં ભરુચ જિલ્લાના દેરોલ, ટંકારિયા, દેહગામ, કુકરવાડા, ઈખર, દયાદરા, મનુબર, ત્રાલસા, ત્રાલસી, દોરા, પીપલીયા, પરિએજ, વાંતરસા, થામ, મહુધલા ગામની હજારો એકર જમીન સંપાદન કરવામાં આવી હતી. તે સમયે ચો.મીટર દીઠ માત્ર 9થી 60 રુપિયા વળતર ચુકવવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2013 અને 2018માં અનુક્રમે એક્સપ્રેસ-વે તેમજ બુલેટ ટ્રેનન પ્રોજેક્ટ આવતા ફરીથી આ ગામોની જમીન સંપાદન કરવામાં આવી હતી. પરંતુ આ ત્રણેય પ્રોજેક્ટમાં જે જમીન સંપાદનમાં લેવાયેલી છે તેના વળતરમાં ખુબ વિસંગતતા હોવાથી ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. આ સંદર્ભે દેરોલના અગ્રણી મુબારક પટેલની આગેવાનીમાં ખેડૂતોની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં અંદાજિત 550 પીડિત ખેડૂતો પૈકી 450થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ખેડૂતોને સંબોધતા મુબારક પટેલે જણાવ્યું કે, દેશના કિસાનોને તેમની જમીનનું યોગ્ય વળતર મળવું જ જોઈએ. એ હક્ક મેળવવા માટે સંગઠિત થઈને આગળ વધવું પડશે. જ્યારે દેરોલના જ અગ્રણી રણજિતસિંહ ડાભીએ ખેડૂતોને હાકલ કરતાં જણાવ્યું કે, ખેડૂત સંગઠિત નથી એટલે યોગ્ય ન્યાયથી આપણે વંચિત રહ્યાં છીએ. આજનો ખેડૂત ડરી ગયેલો છે પરંતું સંવિધાને આપણને જે અધિકાર આપ્યા છે. તેને કાનુની રીતે મેળવવા આપણે લડવું પડશે. ખેડૂતોની જમીન સંપાદન કાયદા તથા પ્રક્રિયાની માહિતી આપતા મોસ્ટ સિનિયર એડવોકેટ નસીમ કાદરીએ કાનુની સમજ આપતા જણાવ્યુંકે, છેલ્લાં બાર વર્ષ કરતાં વધુ સમયથી સતત ગાંધીનગર ખાતે જમીન સંપાદનના કેસનો નિકાલ કરવા માટે તેઓ સતત લેખિત અને મૌખિત રજુઆત કરતા આવ્યા છે. પરંતુ હજુ સુધી આર્બિટ્રેટર (લવાદ)ની નિમણૂંક કરવામાં આવી નથી. ભરુચ, સુરત અને વલસાડના પેન્ડિંગ કેસ માટે મુખ્યમંત્રીએ લવાદની નિમણૂંકનો હુકમ કર્યો હતો અને ઝડપથી કેસનો નિકાલ કરવા હુકમ કર્યો હતો.