બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (10:08 IST)

વિધાનસભાની ચૂંટણી ટાણે જ ગાંધીનગર આંદોલનોનું એપી સેન્ટર બન્યું

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ સંગઠનો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ચૂંટણીનું વર્ષ જાણે આંદોલનનું વર્ષ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીનગરમાં એક બાદ એક આંદોલનોએ વેગ પકડ્યો છે. સરકારને ભિસમાં લઈને વિવિધ સંગઠનો પોતાની પડતર સમસ્યાઓ અને પ્રશ્નોને લઈ લડી લેવાના મૂડમાં છે ત્યારે એક બાદ એક સરકારી, અર્ધસરકારી સહિતના સંગઠનો આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે.

આગામી વિધાનસભા ચૂંટણીને લઇને વિવિધ સંગઠનો સત્તા પક્ષ સામે આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. ચૂંટણીનું વર્ષ છે ત્યારે ગાંધીનગરમાં વિવિધ આંદોલનો અને ધરણા સાથે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. તમામને આશા છે કે વિધાનસભા ચૂંટણી નજીક છે તો સરકારની ઇમેજને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખશે અને તેમના પડતર પ્રશ્નોનું સમાધાન લાવી શકાશે. એટલે જ દર બીજા દિવસે વિવિધ સંગઠનો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ-ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે.ગાંધીનગરમાં એલઆરડીની જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો દ્વારા 1 માર્ચ, 2018નો પરિપત્ર રદ કરવાની માંગ સાથે ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. એલઆરડી ભરતીમાં જીએડીનાં 1 ઓગસ્ટ, 18ના ઠરાવ મુદ્દે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો અને ત્યાર બાદ બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારોએ આંદોલન શરૂ કર્યું હતું. જેના પગલે સરકારે મહિલા ઉમેદવારોની બેઠકોમાં વધારો કરીને બંને વર્ગની મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય તેવી ફોર્મ્યુલા જાહેર કરી હતી.આરોગ્યકર્મીઓ પણ ફરી આંદોલનના માર્ગે ચાલ્યા છે. એક સપ્તાહ સુધી ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરશે. જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓ આજે વિધાનસભા અને સચિવાલયનો ઘેરાવ કરશે તો 16 તારીખે રેલી કાઢશે. ત્યારબાદ રસ્તા રોકો આંદોલન અને ભૂખ હડતાળ સુધીના કાર્યક્રમ જાહેર કરી સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે. આરોગ્યકર્મચારીઓની માંગ છે કે પગારમાં વિસંગતતા દૂર કરી ગ્રેડ પેમાં વધારો કરવામાં આવે.

સાથે જ રવિવાર અને જાહેર રજાના દિવસે કરેલ નોકરીનો પગાર આપવામાં આવે અને ફેરણી ભથ્થુ આપવામાં આવે. આરોગ્યકર્મીઓ હડતાળ પર ઉતર્યા બાદ તેમના પ્રતિનિધિઓ મંત્રીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ હડતાળ સમેટવાનું એલાન કર્યું હતું. જો કે, બાદમાં પોતાનો નિર્ણય પરત ખેંચી હડતાળ યથાવત રાખવાની જાહેરાત કરી હતી.રાજ્યમાં એક બાદ એક આંદોલન વેગ પકડી રહ્યા છે ત્યારે પડતર માગને લઇને પૂર્વ સૈનિકો પણ લડી લેવાના મૂડમાં છે. ગાંધીનગરમાં સચિવાલયના ગેટ નંબર 1ની બહાર પૂર્વ સૈનિકો ધરણાં પર બેઠા છે. અલગ-અલગ 14થી વધુ માગને લઇને પૂર્વ સૈનિકો રેલી સ્વરૂપે ગાંધીનગર પહોચ્યા હતા. આ સમયે એક પૂર્વ સૈનિકનું અવસાન થતા આંદોલન ઉગ્ર બન્યું હતું. આજે બીજા દિવસે કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો તો સચિવાલયના ગેટ બહાર બેરેકેડ્સ પણ લગાવી દેવામાં આવ્યા. આંદોલનો વચ્ચે રાજ્યમાં વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. એસટી કર્મચારીઓના પડતર પ્રશ્નોને માસ સીએલની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. ST નિગમના કર્મચારીઓએ ચીમકી આપી છે કે જો તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 23 તારીખે રાતથી ST બસના પૈડા થંભી જશે. એ પહેલાં ST નિગમના કર્મચારીઓ પ્રતીકાત્મક વિરોધ કરશે. જેમાં 16 તારીખે અધિકારી અને મંત્રીઓને મેસેજ કરી અને સ્ટેટસ રાખી વિરોધ નોંધાવશે. 17 તારીખે કાળી પટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરશે. 21 તારીખે ઘંટનાદ કરી વિરોધ દર્શાવશે. ત્યારબાદ અંતમાં 23મી તારીખે માસ સીએલ પર ઉતરી જશે.