1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 નવેમ્બર 2021 (13:49 IST)

ચાલુ સ્નેહમિલનમાં પાટીલે મેયરના ક્લાસ લીધા, રસ્તે રઝળતા ઢોર 100 ટકા દૂર થાય તે મામલે કામ કરો

રાજકોટ ભાજપમાં જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો હોવાની વાત છેલ્લા ઘણા સમયથી થતી હતી. પરંતુ આ જૂથવાદ 15 નવેમ્બરે ભાજપના સ્નેહમિલનમાં જાહેરમાં દેખાયો હતો. આમંત્રણ પત્રિકામાં નામના લોચાને લઈને રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને સ્ટેજ પર જાહેરમાં ખખડાવ્યા હતા. બાદમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે પડતા તણાવ જોવા મળ્યો હતો. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ રાજકોટની મુલાકાતે છે. ઇમ્પીરિયલ પેલેસ હોટલમાં ઉદ્યોગપતિના સ્નેહમિલનમાં ગોવિંદ પટેલ પાટીલ પાસે ગયા અને તેના કાનમાં કંઇક કહ્યું હતું. ચર્ચા થઇ રહી હતી ત્યારે બંનેના ચહેરા ગંભીર જોવા મળ્યા હતા. તેમજ પાટીલે જાહેરમાં મેયરના ક્લાસ લીધા હતા.
 
સ્નેહમિલનમાં પાટીલ આવતા જ ગોવિંદ પટેલ તેની પાસે દોડી આવ્યા
ઇમ્પીરિયલ પેલેસ હોટલમાં ઉદ્યોગપતિઓના સ્નેહમિલનમાં પાટીલ આવ્યા તે ભેગા જ ગોવિંદ પટેલ તેની પાસે દોડી આવ્યા હતા. બાદમાં પાટીલ સાથે હાથ મિલાવી તેના કાનમાં કંઇક કહ્યું હતું જે ચર્ચાનો મુદ્દો બન્યો છે. ગોવિંદ પટેલે પાટીલ સાથે શું રૂપાણી વિશે વાત કરી કે પછી અન્ય કંઇ વાત કરી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.  
 
ચાલુ સ્નેહમિલનમાં પાટીલે મેયરના ક્લાસ લીધા
પાટીલે ચાલુ સ્નેહમિલનમાં રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવનો ક્લાસ લીધા હતા. તેઓએ મયેરને ટકોર કરી કહ્યું હતું કે, રસ્તે રઝળતા ઢોર મુદ્દે કામ કરો. રસ્તે રઝળતા ઢોર 100 ટકા દૂર થાય તે મામલે કામ કરો. મંદિરો આસપાસ ભિક્ષુકો પણ ન હોવા જોઇએ. રજકોટમાં એક પણ કૂપોષિત બાળક ન રહે તે માટે કામ કરો. ગુજરાત સરકાર 10થી 15 વીઘા જગ્યા NGOને આપી ઢોર સાચવવા વ્યવસ્થા ગોઢવવા અંગે વિચારણા કરી રહી છે.
 
સબસિડી આપી પણ તમારા તરફથી રિસ્પોન્સ ન આવ્યોઃ પાટીલ 
સ્નેહમિલનમાં પાટીલે ઉદ્યોગપતિઓને જણાવ્યું હતું કે, મારી એક મૂંઝવણ છે જેનો તમે લોકો જ ઉકેલ આપી શકો છો. તમે બધા ઉદ્યોગ ક્ષેત્રના મહારથીઓ છો. ઉદ્યોગોના પ્રશ્નો આવતા જ હોય છે. પરંતુ તેનો ઉકેલ થયા પછી નવા પ્રશ્નો આવતા નથી. ઉદ્યોગોને 750 કરોડની સબસીડી 1 મહિનાની અંદર પહોંચી ગઈ છે. આથી તમારા તરફથી કોઈ રિસ્પોન્સ આવ્યો નથી. નાના ઉદ્યોગોને સૂચિતમાંથી રેગ્યુલાઈઝ કરવા કામગીરી ચાલુ છે. સરકાર આ મુદ્દે વિચારણા કરી આગળ ટૂંક સમયમાં કામગીરી હાથ ધરશે. 
 
11 લોકોની કમીટી બનાવવામાં આવી છે
વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે 11 લોકોની કમિટી બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી પ્રશ્નો શક્ય હશે તે તત્કાલમાં હલ કરી દઇશું. પ્રથમ વખત મળ્યા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના જ હતા. હવે તમારા મંત્રી અરવિંદ રૈયાણી રાજકોટના છે. આથી પ્રશ્નોનો ઉકેલ આવશે જ. ઇન્ડસ્ટ્રીને આપવામાં આવતું પાણીનું ભાડું ઘટાડવું જોઈએ તે મામલે મુખ્યમંત્રીને મેં રજુઆત કરી છે.
 
પ્રદુષણને તમે પ્રશ્ન ગણતા નથી પણ પ્રશ્ન હશે તો જરૂર 
GPCBમાં પણ ફેરફાર કરવામાં આવશે. પ્રદૂષણ કેમ ઘટી શકે આ અંગે કામ કરવા GPCBને કહેવામાં આવશે. નવી ટેક્નોલોજી સાથે આગળ વધે તો પ્રદૂષણ ઘટાડી શકાય. ઇન્ડસ્ટ્રી એ પ્રશ્ન નહિ એની સાથે સજેશન પણ આપે એવું હું માનું છું. વિજયભાઈએ ખૂબ કામો કર્યા છે, હું ખાતરી આપું છું. વિજયભાઈના કાર્યકાળમાં નક્કી થયેલા પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવામાં આવશે અને નવા પ્રોજેક્ટમાં સમયસર ગ્રાન્ટ આપવામાં આવશે. 
 
સ્નેહમિલનમાં ડેપ્યુટી મેયરને 8 મિનીટ સુધી ખુરશી ન મળી
આ સ્નિહમિલનમાં રાજકોટના ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહને આઠ મિનીટ સુધી ઉભું રહેવું પડ્યું હતું. કારણ કે, ખુરશી ન મળતા તેઓ ઉભા રહ્યા હતા. બાદમાં ખુરશીની વ્યવસ્થા કરાતા તેઓ બેસી ગયા હતા.