મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 માર્ચ 2020 (11:25 IST)

ગુજરાત સરકારના મહત્વના 4 નિર્ણય, અન્ય રાજ્યોમાં અટવાયેલા ગુજરાતીઓને નહી પડે તકલીફ

વિશ્વવ્યાપી કોરોના વાયરસની સામે સાવચેતી અને સતર્કતાની જનજાગૃતિ દ્વારા વિજય મેળવવા ભારતભરમાં લોકડાઉનની સ્થિતી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં આ ર૧ દિવસના લોકડાઉનની સ્થિતીમાં નાગરિકો-પ્રજાજનોને સરળતાએ આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં વ્યવસ્થાઓ ગોઠવાઇ છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળતી કોર કમિટી બેઠકમાં પણ રોજબરોજની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા સાથે પ્રવર્તમાન સ્થિતીમાં નાગરિક સુવિધાના નિર્ણયો પણ લેવામાં આવે છે. મુખ્યમંત્રીએ કોર કમિટીની આ બેઠકમાં ગઇ મોડી સાંજે લીધેલા નિર્ણયોની ભુમિકા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આપી હતી.
 
અશ્વિનીકુમારે કહ્યું કે, રાજ્યમાં આ લોકડાઉનની સ્થિતીમાં એપ્રિલ માસમાં અંત્યોદય અને ગરીબ પરિવારોને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ વિનામૂલ્યે કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ અગાઉ કર્યો છે. હવે, તેમણે એક વધુ સંવેદનાસ્પર્શી નિર્ણય એવો પણ કર્યો છે કે, આ એક માસ પૂરતી આવી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઓફલાઇન પદ્ધતિએ પણ રાશન ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવાના ઉદાત્ત ભાવથી એપ્રિલ-ર૦ર૦ના માસ માટે રાશન મેળવવા લાભાર્થી માટેની બાયોમેટ્રિકસ પદ્ધતિનો અમલ કરાશે નહિ.
 
મુખ્યમંત્રીએ આ લોકડાઉનની સ્થિતીમાં ગુજરાતના જે યાત્રિકો કે મુસાફર પરિવારો અન્ય રાજ્યોમાં સ્થગિત થઇ ગયા છે તેમને ત્યાં કોઇ અગવડ રહેવા-જમવાની ના પડે તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરતો મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયની વિગતો આપતાં મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, આવા અન્ય રાજ્યોમાં ફસાઇ ગયેલા પરિવારો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર ૧૦૭૦ પર સંપર્ક સાધી શકશે.
 
આવા યાત્રિકો-મુસાફરોની તેઓ જે રાજ્યમાં હાલ સ્થગિત થઇ ગયેલા છે તે રાજ્યના સંબંધિત સ્થળે ત્યાંના જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાતી સમાજના સહયોગથી ભોજન-આવાસ-નિવાસ વ્યવસાઓનું સંકલન ગુજરાત સરકાર કરશે તેવો સંવેદનાત્મક અભિગમ વિજય રૂપાણીએ દર્શાવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસતા અન્ય રાજ્યોના કામદારો-શ્રમિકોને પણ પ્રવર્તમાન લોકડાઉન સ્થિતીમાં રહેવા-ખાવાની વ્યવસ્થાઓમાં કોઇ અગવડતા ન પડે તે માટે રાજ્યના જિલ્લા વિહવટીતંત્રોને પણ સાબદા કર્યા છે.
 
અશ્વિનીકુમારે આ સંદર્ભમાં કહ્યું કે, આવા શ્રમિકો-કામદારોને રહેવા-જમવાની યોગ્ય વ્યવસ્થાઓ માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની હેલ્પલાઇન ૧૦૭૭ કાર્યરત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર સંપર્ક સાધવાથી સંબંધિત જિલ્લા વહિવટીતંત્ર સ્થાનિક સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી આવા શ્રમિકો-કામદારો માટે ભોજન-આવાસ સુવિધા ગોઠવશે. રાજ્યમાં લોકડાઉનનો સંપૂર્ણતઃ ચુસ્તપણે અમલ થાય અને નાગરિકો-પ્રજાજનોને જીવન આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે ઘરની બહાર માર્કેટમાં આવવું ન પડે તે માટે પણ મુખ્યમંત્રીના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે પુરવઠા વિતરણ વ્યવસ્થાઓ સુદ્રઢ બનાવી છે. 
 
અશ્વિનીકુમારે આ વિગતો આપતાં ઉમેર્યુ કે, જીવન આવશ્યક ચીજવસ્તુઓ,  શાકભાજી વગેરેનો પુરવઠો લોકોને સરળતાએ તેમના ઘર-સોસાયટી-શેરી-મહોલ્લા નજીક મળી રહે તે માટે પાસ ફેરિયા, લારીધારકો, વેપારીઓને ઇસ્યુ કરવામાં આવ્યા છે. આવા પાસ સ્થાનિક જરૂરિયાતના આધારે મામલતદાર કક્ષાએથી આપવામાં આવે છે. મુખ્યમંત્રીના સચિવે કોર કમિટીએ લીધેલા અન્ય એક નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું કે, હાલની સ્થિતીમાં બિયારણ, ખાતર અને પાક જંતુનાશક-પેસ્ટીસાઇઝડસનો આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ કરીને તે પણ ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે મળી રહે તે સુનિશ્વિચત કરવામાં આવ્યું છે. રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતીના ત્રીજા દિવસે દૂધ, શાકભાજી, ફળફળાદિ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો નિર્વિઘ્ને નાગરિકોને મળી રહ્યો છે. 
 
આ વિગતો આપતાં અશ્વિનીકુમારે જણાવ્યું કે, શુક્રવારે સવારે સમગ્ર રાજ્યમાં પ૧.૩૦ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. તેમણે ઉમેર્યુ કે, સમગ્ર ગુજરાતમાં શુક્રવારે ૮પ હજાર ૧૩૩ કવીન્ટલ શાકભાજી અને ૪૮૩ર કવીન્ટલ ફળફળાદીનો આવરો થયો છે. જેમાં ર૩૧૮૮ કવીન્ટલ બટેટા, ૯૬૮પ કવીન્ટલ ડુંગળી, ૯૪પ૯ કવીન્ટલ ટામેટા અને ૪ર૮૭૧ કવીન્ટલ લીલાશાકભાજીનો સમાવેશ થાય છે.  
 
આ ઉપરાંત ૭૦પ કવીન્ટલ સફરજન, ૭૪૭ કવીન્ટલ કેળાં અને ૩૩૮૬ કવીન્ટલ અન્ય ફળફળાદિ પણ રાજ્યમાં ઉપલબ્ધ છે. સમગ્ર રાજ્યમાં ૬૯ માર્કેટ-મંડીઓ કાર્યરત રહી છે અને વિતરણ વ્યવસ્થાનું કાર્ય કરે છે. મુખ્યમંત્રીના સચિવે સૌ નાગરિકોને જીવન આવશ્યક ચીજવસ્તુઓ સરળતાએ મળી રહે તે માટે સમગ્ર તંત્ર દિવસ-રાત કર્તવ્યરત છે તેનો વિશ્વાસ આપતાં કહ્યું કે, નાગરિકો પણ બિનજરૂરી સંગ્રહ ન કરે કે ચીજવસ્તુઓ ખરીદી માટે ઘરની બહાર ન નીકળે તે તેમના હિતમાં છે.