ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (12:21 IST)

રાતોરાત હાઇકોર્ટમાં ઘૂસ્યો કોરોના, એક દિવસમાં 17 કેસ, લીધો આ નિર્ણય

ગુજરાતમાં વધતા જતા કોરોના વાયરસના કેસ હવે માથાનો દુખાવો બની ગયો છે. એમાપણ ખાસ કરીને ગુજરાતના સુરત, રાજકોટ, અને વડોદરામાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા હવે કોરોનાનું સંક્રમણ અટકાવવા વ્યાપક પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે, ત્યારે મંગળવારે ચાર કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા બુધવારે આશરે 250 કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. ગુજરાત હાઇકોર્ટમાં એક જ દિવસમાં 17 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અને ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
AMC દ્વારા ગુજરાત હાઇકોર્ટને સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવશે. જેના કારણે 12થી 15 સપ્ટેમ્બર સુધી HC બંધ રહેશે. ફિઝિકલ કોર્ટ શરૂ કરવાના નિર્ણયને પણ કેન્સલ કરાયો છે. પરંતુ હાઈકોર્ટમાં અરજીઓની ઓનલાઈન સુનાવણી હાથ ધરાશે.
 
મળતી માહિતી અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં બે દિવસમાં 21 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યારે આજે પણ અહીં સઘન ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. હવે 15મી સુધી કોર્ટ સંપૂર્ણ બંધ રહેશે અને એણએમસી સંપૂર્ણ સેનેટાઈઝેશન કરશે. જેની પહેલા કોર્ટના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતાં હવે અહીં સઘન ટેસ્ટિંગ તેમજ પ્રત્યક્ષ સુનાવણી માટેના કડક નિયમો અને દિશાનિર્દેશો બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1329 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1336 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 16 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,08,292 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 88,815 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,152 પર પહોંચ્યો છે.