શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (13:49 IST)

દરવાજાનું કામ પુરૂ થવાને આરે, નર્મદા બંધને સંપૂર્ણ ભરવાનો રસ્તો સાફ

નર્મદા બંધ ઉપર ૩૧ રેડિયલ દરવાજા બેસવાડવાનું કામ લગભગ પુરૂ થવા આવ્યું છે. આગામી ૧૦૦ દિવસમાં તો આ ગેટ બંધ કરવાની સ્થિતિમાં પણ આવી જશે ! તો બીજી તરફ મધ્યપ્રદેશના વિસ્થાપિતો સંદર્ભે સુપ્રિમ કોર્ટે પ્રાથમિકતા આપીને નિયમિતપણે સુનવણી શરૂ કરી છે. આ અંર્તગત જમીન સામે આર્થિક વળતરની સમીક્ષા માટે એક તપાસ સમિતી રચીને અહેવાલ માંગ્યો છે. આથી, નર્મદા બંધ ઉપર દરવાજા મુક્યા પછી લાંબા સમય સુધી તેને હવામાં અધ્ધરતાલ રાખવા નહી પડે.

મધ્યપ્રદેશ સરકારના હિસ્સે આવતા આદિવાસી વિસ્તારના ૪૫,૦૦૦ લાભાર્થીઓને જમીનને બદલે આર્થિક વળતર આપવામાં આવ્યુ છે. તેને લઈને મધ્યપ્રદેશમાં મેઘા પાટકર આંદોલન ચલાવી રહ્યા છે. સુપ્રિમમાં આ અંગે ચાલતી ન્યાયિક સુનવણી દરમિયાન ચીફ જસ્ટીસ સહિત ત્રણ ન્યાયર્મુિતઓની ખંડપીઠે મધ્યપ્રદેશ સરકારે અસરગ્રસ્તોને આપેલી સહાયમાં થયેલી ગરબડો સંદર્ભે જસ્ટીસ ઝા કમિશનના રિપોર્ટને આધારે જેમને અન્યાય થયો છે તેમને પુરતુ વળતર આપવા માટે એક તપાસ કમિટી રચીને ચોક્કસ ટાઈમલાઈનમાં રિપોર્ટ સબમિટ કરવા કહ્યુ છે.

ગુજરાત સરકારના નર્મદા નિગમના સત્તાવાર સુત્રોના કહેવા મુજબ ”આંદોલનકર્તાઓ જમીનની સામે જમીન માંગી રહ્યા હતા. મધ્યપ્રદેશ સરકાર પાસે જમીન નથી. આથી, આ કેસમાં સીધી રીતે ગુજરાતનું હિત ન હોવા છતાંયે સમગ્ર પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબ અંગે રાજ્ય સરકારે ખાસ એડવોકેટ રોકીને હસ્તક્ષેપ કર્યો હતો. સુપ્રિમે મધ્યપ્રદેશ સરકારની જમીન સામે આર્થિક વળતર આપવાની નીતિના પક્ષમાં રહીને અસરગ્રસ્તોને ઓછુ વળતર મળ્યુ હોય, અન્યાય થયો હોય તેવા કિસ્સાઓની સમિક્ષા કરીને રિપોર્ટ સોંપવા કમિટી રચી છે. આથી, આગામી ૬-૮ મહિનામાં આ પ્રોજેક્ટને અવરોધતા તમામ પરિબળો સમાપ્ત થઈ જશે” અહીં, નોંધવુ આવશ્યક છે કે વિસ્થાપિતોનો મુદ્દો જેટલો ઝડપથી ઉકેલાય તેટલા જ ઝડપથી ૩૧ રેડિયલ ગેટ બેસાડયા બાદ પછી તેને બંધ કરવા નર્મદા કંટ્રોલ ઓથોરિટી મંજૂરી આપશે. અને ડેમ તેની સંપુર્ણ ઉંચાઈએ એટલે કે ૧૩૧ મીટરે પાણીથી ભરી શકાશે.