ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 એપ્રિલ 2021 (12:14 IST)

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે પાન પાર્લર, ટી-સ્ટોલ બાદ હવે હેર કટિંગની દુકાનો પણ બંધ

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત વધારી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કોરોનાના કેસો કાબૂમાં લેવા માટે નવા નિયમો અને આદેશો જાહેર કરે છે. શહેરમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ બંધ કરાવ્યા બાદ આજે સવારથી અમદાવાદમાં હેર કટિંગ સલૂનની દુકાનો પણ બંધ કરાવવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો આજે સવારથી વિવિધ વિસ્તારોમાં હેર કટિંગ સલૂનની દુકાનો બંધ કરાવવા નીકળી હતી. જોકે ચાની કીટલીઓ અને પાનના ગલ્લાઓની જેમ હેર કટિંગની દુકાનો પણ ક્યાં સુધી બંધ રહેશે એની માહિતી આપવામાં આવી નથી.શહેરમાં કોરોના વધતા જતા કેસ વચ્ચે મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગે શહેરના તમામ પાનના ગલ્લા અને ચાની લારીઓને બંધ કરાવી દીધી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, લારી-ગલ્લા મ્યુનિ.એ અનિશ્ચિત મુદત માટે બંધ કરાવી દીધા છે.

મ્યુનિ.એ 2 હજાર જેટલા પાનના ગલ્લા અને 1500 જેટલી ચાની કીટલીઓ બંધ કરાવી છે. નવો હુકમ ન થાય ત્યાં સુધી આ બંધી અમલી રાખવાનો આદેશ અપાયો છે. મ્યુનિ. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના તમામ લારી-ગલ્લાં બંધ કરાવવા માટે અભિયાન હાથ ધરાયું હતું. શહેરના તમામ વોર્ડના પાનના ગલ્લા અને ચાની લારીઓને અનિશ્ચિત મુદત માટે બંધ કરાવ્યા છે.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના હર્ષદરાય સોલંકીએ કહ્યું હતું કે શહેરમાં સૌથી વધુ લોકો પાનના ગલ્લે અને ચાની લારીએ ભેગાં થાય છે. એટલું જ નહીં, પાનના ગલ્લે કે ચાની લારીએ ઊભા રહીને સિગારેટ-ચા પીતા કે મસાલો ખાતા નાગરિકો મોઢા પર માસ્ક પહેરતા નથી અને જોડે ઊભા રહીને વાતો કરતા હોય છે, જેને કારણે આ બંને સ્થળો પર લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના નિયમોનું ઉલ્લંઘન કરે છે.

એક તરફ જ્યાં શુક્રવારે પાનના ગલ્લા શનિ-રવિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યાં પાનના ગલ્લા ચાલુ રાખતાં આખરે તંત્રએ રાત્રે રસ્તા પર ઊતરીને પાનના ગલ્લા બંધ કરાવ્યા હતા. ​​​​​​અમદાવાદમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ ક્યાં સુધી બંધ રહેશે એ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ બંધ રાખવા વેપારીઓને સૂચના આપી છે, પરંતુ પાન ગલ્લાના એસોસિયેશનની જાહેરાત બાદ પણ કોઈપણ ગલ્લા બંધ ન રહેતાં AMCએ કડક પગલાં લીધાં હોવાની વાત છે.