1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 એપ્રિલ 2023 (17:49 IST)

તમારી સિસ્ટમમાં સડો હતો તે મેં દૂર કર્યો છે, મારા પરિવાર સુધી જો પહોંચશો તો હું કોઈને છોડીશ નહીં': યુવરાજસિંહ જાડેજા

yuvraj singh
ગુજરાતમાં લેવાતી સરકારી પરીક્ષાઓથી લઈ અને ભરતીઓમાં કૌભાંડો ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો બનાવ્યો છે. જેમાં તેઓએ પોતાની વ્યથા જણાવી છે.

મારી વિરુદ્ધ કાવતરા કરવામાં આવી રહ્યા છે અને મને ફસાવવામાં આવી રહ્યો છે. મારી સહનશક્તિ હવે પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે. મારા સુધી રહો તો સારું છે પરંતુ મારા પરિવાર સુધી જો પહોંચશો તો હું કોઈને છોડીશ નહીં. મેં પોલીસ પ્રોટેક્શનની માગણી કરી છે. ત્રણવાર માગણી કરી છતાં પણ પ્રોટેક્શન આપવામાં આવ્યું નથી. સરકારની સિસ્ટમમાં જે સડો લાગલો છે તેને હું દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ત્યારે મને ખોટા કાવતરામાં ફસાવી અને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારા વિરુદ્ધ જે કાવતરા કરવા હોય તે કરી લો, પરંતુ આ સિસ્ટમની સામે લડીશ તેમ કહી અને પોતાની વેદના વીડિયોમાં ઠાલવી છે.



યુવરાજસિંહ તેમના વીડિયોમાં તે ઘણી વખત ભાવુક પણ થયા હતા, નારાજ થયા હતા અને ઘણી વખત નીરાશ પણ થયા હોવાનું જોવા મળ્યું હતું. યુવરાજસિંહ જાડેજા એ પોતાના વીડિયોમાં પૂર્વ મંત્રીઓ અને કેટલાક ધારાસભ્યો વિરુદ્ધ પણ આક્ષેપ કરતા કહ્યું છે કે મારા કારણે તમારા પદ ગયા છે એ મને ખબર છે. તમે મંત્રી હતા, તમારું મંત્રી પદ મારા કારણે જતું રહ્યું છે પરંતુ એ તમારા કર્મને કારણે ગયું છે. તમારી હજારો કરોડની સંપત્તિઓ જે ખોટા બેઈમાનીના ધંધાથી બનાવી છે તેના કારણે ગયું છે. તમે એવા હજારો વ્યક્તિની હાયો લીધી છે એના કારણે ગયું છે. જો તમને એવો વહેમ હોય તો કાઢી નાખો, તમારા કર્મ ખોટા હતા, તમારા ધંધા ખોટા હતા એના કારણે ગયું છે. હાથ ચાલાકી કરવામાં બાકી રાખી નથી, પણ મેં સહન કર્યું છે. મારા વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરી ફસાવવો આ જ કાવાદાવા થઈ રહ્યા છે. હું કોઈના કહ્યેથી રોકાવાનો નથી, લોભ લાલચ, પ્રલોભનો આવ્યા છે. 2 કરોડ સુધીના પ્રલોભનો આવ્યા છે પણ મેં સ્વિકાર્યા નથી. ખરીદાય નહીં એટલે યુવરાજસિંહને પાડી દો, આપણા સમાજને, આપણા વિસ્તારોને બદનામ કરે છે, એટલે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવાઈ રહી છે. ખોટી રીતે ફસાવવાના સાહેબ. તંત્રને ખુંચે છે કે ગમે ત્યારે માહિતી આપે છે સચોટ જ હોય છે. આવનારા દિવસોમાં નામ જોગ એક એકને ખુલ્લા પાડીશ. જે મને મળવા આવ્યા તેમને ખુલ્લા પાડીશ, જેમણે મને ખોટી રીતે ફસાવવા, ધમકાવાના પ્રયાસ કર્યા છે તેમને હું નહીં છોડું. જે રીતે પરિવારને હેરાન કરે છે, હું કંટાળી ગયો છું. સિંહ પર ઘા કરી લેજે, સિંહના બચ્ચાને કે તેના પરિણામને ઉંણી આંચ પણ આવી હું નહીં છોડું.

હશે તમારા રાજકીય છેડા, રાજકારણમાં હશો. જે હું છું નહીં તેવો મને ચિતરવામાં આવે છે. શા માટે તમારી દુકાનો બંધ થાય છે તેના માટે મેં સરકારનું શું ખરાબ કર્યું. તમારી સિસ્ટમમાં સડો હતો તે સડો મેં દૂર કર્યો છે.તેમણે કહ્યું કે, કેટલી ભરતીઓમાં કૌભાંડો ઉજાગર કર્યા, આ બધું ઉજાગર કરીને મારે મોટું નથી થાવું. રાજનીતિ મારો વિષય નથી. આગામી દિવસોમાં હું પ્રેસ કરીશ અને મને જે ધમકાવે છે તેમને હું જાહેરમાં ખુલ્લા પાડીશ. જે લોકો પોતાના કાંડ છૂપાવવા બીજા પર દાગ લગાવે છે તેમને પણ હું ખુલ્લા પાડીશ. હું અધિકારીઓ કે જે પાછલા બારણે લાભ લઈ રહ્યા છે હું કોઈને નહીં છોડીશ. હું એ નેતાઓને પણ ખુલ્લા પાડીશ. હું કોઈને નડીશ નહીં પણ હું લડીશ. પાછલા બારણે થતા કાવાદાવા હું ખુલ્લા પાડીશ તાકાત હોય તો રોકી લેજો. તમે મને પોલીસ પ્રોટેક્ષન આપતા નથી ભલે ના આપો, છૂટા મુકી દેજો તમારા ગુંડાઓને, આજે એક યુવરાજ છે કાલે બે થશે. પરિવારના નામે જો હેરાન કર્યો છે તો હું ચુપ નહીં રહું. ગોબા પાડતા આવડે, ગોબા ઉપાડતા ય આવડે. આમ યુવરાજસિંહે વીડિયો મારફતે પોતાની વેદના ઠાલવી હતી.