1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 સપ્ટેમ્બર 2023 (18:28 IST)

લોકઅદાલતમાં અકસ્માત કેસમાં મૃતકના પરિવારજનને IFFCO વીમા કંપનીએ 9 વર્ષ બાદ 5.40 કરોડનો ચેક આપ્યો

રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરાયું છે. ત્યારે નેશનલ લો સર્વિસના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પણ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોકઅદાલતમાં વર્ષ 2014માં અકસ્માતે મૃત્યુ પામેલા ખાનગી કંપનીના મેનેજરના પરિજનોએ ઇનસ્યોરન્સ કંપની સામે ભરૂચની ટ્રિબ્યુનલમાં તમામ ખર્ચ જોતા 3.94 કરોડનો દાવો દાખલ કર્યો હતો. જે કેસનો આજે લોક અદાલતમાં ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌથી મોટું સેટલમેન્ટ થયું છે. જેમાં મૃતકના પરિવારજનોને IFFCO વીમા કંપનીએ 5.40 કરોડનો ચેક આપ્યો છે.આ કેસમાં વર્ષ 2014માં ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા ભરૂચના પ્રકાશભાઈ વાઘેલા અમદાવાદ એરપોર્ટથી વડોદરા જતા હતા. જ્યાં નારોલ ટોલ પ્લાઝા ખાતે ડ્રાઇવરના બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગથી ટ્રક સાથે અકસ્માત થતાં 40 વર્ષીય પ્રકાશભાઈ વાઘેલાનું નિધન થયું હતું.

જેની સામે પરિવારજનોએ ઇનસ્યોરન્સ કંપની સામે ભરૂચની ટ્રિબ્યુનલમાં તમામ ખર્ચ જોતા 3.94 કરોડનો દાવો દાખલ કર્યો હતો.અકસ્માતમાં મૃતક પ્રકાશભાઈ વાઘેલા બી. ટેકની ડિગ્રી ધરાવતા હતા. જેમનું વાર્ષિક પેકેજ 31 લાખ રૂપિયાનું હતું. તેમની ઉપર પત્ની, બે સગીર પુત્રો અને માતા-પિતાની જવાબદારી હતી. 2014માં અરજીની તારીખથી હુકમની તારીખ સુધી 9%ના વ્યાજ પર રૂ. 6,31,35,000ની દાવા અરજી દાખલ કરી હતી. જેની સામે વીમા કંપનીએ વાટાઘાટોના અનેક રાઉન્ડ પછી એડવોકેટ હિરેન મોદીના સહયોગથી રૂ. 5,40,45,998 ચૂકવવા સંમત થયા હતા. આ રકમ અરજદારના ખાતામાં 4 અઠવાડિયામાં જમાં થશે.