1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 9 ઑગસ્ટ 2023 (12:59 IST)

જે અભ્યાસક્રમોમાં ફી 6 લાખથી વધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની વધારાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે

kuberbhai dindor
kuberbhai dindor
સરકારી ક્વોટામાં મેરીટમાં એડમિશન લીધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મળશે લાભ
 
રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના શિક્ષણને લઈ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત સરકારી ક્વોટામાં મેરીટમાં એડમિશન લીધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફી રેગ્યુલેટિંગ કમિટીએ નક્કી કરેલી ફી મુજબ ભારત સરકારે નક્કી કરેલી 6 લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવા ઉપરાંત હવે જે અભ્યાસક્રમોમાં ફી 6 લાખ કરતાં વધારે હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના કિસ્સાઓમાં વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તેમ આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે.
 
રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો
કેન્દ્ર સરકારની વર્ષ 2010થી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે અમલી પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની ગાઈડલાઈન મુજબ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વાલીની આવકમર્યાદાને ધ્યાને લઇ 2.50 લાખની શિષ્યવૃત્તિની રકમની કોઈ ટોચ મર્યાદા ધ્યાને લીધા સિવાય ફીની રકમ શિષ્યવૃત્તિ તરીકે ચુકવવામાં આવતી હતી. તે ઉપરાંત કેન્દ્ર સરકારની તા.01/04/2022થી અમલીકૃત ગાઇડલાઈનથી માન્યતા પ્રાપ્ત ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એમ.બી.બી.એસ./એમ.એસ./એમ.ડી.ના અભ્યાસક્રમો માટે વાર્ષિક 6 લાખ તથા એન્જિનિયરીંગના અભ્યાસક્રમો માટે વાર્ષિક 2.50 લાખ તેમજ અન્ય અભ્યાસક્રમો માટે વાર્ષિક 1 લાખની રકમની ટોચ મર્યાદામાં શિષ્યવૃત્તિ ચૂકવવાની જોગવાઈ દાખલ કરેલ છે. કેન્દ્ર સરકારની ઉપરોક્ત નવીન ગાઈડલાઈનમાં સૂચવેલ ટોચ મર્યાદાથી વધુ રકમની શિષ્યવૃત્તિની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
 
ભારત સરકારે નક્કી કરેલ 6 લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ અપાશે
રાજયના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિની રકમનું ચૂકવણું કરવા માટે થયેલી નવી જોગવાઇઓ મુજબ હવે, અગાઉના શૈક્ષણિક વર્ષમાં એડમિશન લીધુ હોય અને શિષ્યવૃત્તિ આપવામાં આવી હોય તેઓને ચાલુ વર્ષે તેમજ હવે પછીના વર્ષોમાં શિષ્યવૃત્તિ મંજુર થયા પ્રમાણે આપવાની રહેશે. તે ઉપરાંત સરકારી ક્વોટામાં મેરીટમાં એડમિશન લીધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફી રેગ્યુલેટિંગ કમિટીએ નક્કી કરેલી ફી મુજબ ભારત સરકારે નક્કી કરેલ 6 લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવાની રહેશે. પરંતુ જે અભ્યાસક્રમોમાં ફી 6 લાખ કરતાં વધારે હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના કિસ્સાઓમાં વધારાની રકમ રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવશે.