ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 જાન્યુઆરી 2022 (09:52 IST)

પતંગની દોરીએ ગુજરાતમાં એક જ દિવસમાં 248 લોકોને કર્યા ઘાયલ

આજે સવારે અમદાવાદમાં ચમનપુરા પાસે બાઇક લઈને જતા 32 વર્ષીય વ્યક્તિના ગળામાં દોરી આવતા ઈજાગ્રસ્ત થયા હતા. એરપોર્ટ રોડ તરફ ઈન્દિરાબ્રિજ પાસે પણ બાઇક લઈને જતાં 50 વર્ષીય વ્યક્તિના ગળામાં ઇજાગ્રસ્ત થયા છે. સુભાષબ્રિજ કેશવનગરમાં રસ્તા પર ચાલતા જતા 76 વર્ષીય મહિલાના ગળામાં દોરી આવી જતાં ઇજા થઇ હતી. અમદાવાદમાં જ 74 બનાવો સામે આવ્યાં છે.
 
ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીના કારણે ગળામાં ઇજા અને અકસ્માતના બનાવો બનતાં હોય છે. સાંજ સુધીમાં રાજ્યમાં દોરીના કારણે ઇજાના 248 જેટલા બનાવો બની ચૂક્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 74 લોકો દોરીથી ઈજાગ્રસ્ત થયા છે. જેમાં સિંગરવા નજીક એક યુવકનું દોરીથી ગળું કપાતા શારદાબેન હોસ્પિટલમાં ખસેડાયો હતો, ભાવનગરમાં પણ હેવમોર ચોક પાસે એક વૃદ્ધ દોરીથી ઈજાગ્રસ્ત થતા સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. ઉપરાંત રાજકોટમાં પણ વધુ ચાર દોરી વાગવાના બનાવો બન્યા હતા, જે તમામને ઇજા થતા 108માં સિવિલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આમ રાજકોટ 26, વડોદરામાં 28 તથા સુરતમાં 27 લોકો દોરીથી ઘવાયા છે.
 
તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર આપવામાં આવી હતી. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને રાતે 9 વાગ્યા સુધીમાં 3367 જેટલા કોલ મળ્યા છે. જ્યારે ગત વર્ષે 108ને 2925 ઈમરજન્સી કોલ મળ્યા હતા. જેમાં 74 બનાવ ગળામાં દોરી વાગવાના, 275 બનાવ નીચે પડવાના બન્યા છે. જેમાં તમામમાં તેઓને 108 મારફતે સારવાર આપવામાં આવી હતી અને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ફાયર બ્રિગેડને પક્ષી બચાવ કોલના સવારે 6થી 10 વાગ્યા સુધીના માત્ર બે કોલ મળ્યા છે. જેના પરથી કહી શકાય કે સવારથી ઓછી પતંગ ઉડવાના કારણે પક્ષીઓના ઇજા થવાના બનાવો ઓછા જોવા મળ્યા છે.